રાજકોટમાં પરિણીતાને જીવતી સળગાવી હોવાની ઘટના બની હતી. આ ઘટના રાજકોટ-એરપોર્ટ રોડ પર આવેલ ચંદ્રેશનગર સોસાયટીમાં બની હતી. જેમાં એક તરફી પ્રેમીએ પરિણીતાને સળગાવી છે.
ચેતન પલાણ નામના શખ્સે પરિણીતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી અને ત્યારબાદ પોતે પણ સળગ્યો હતો. જો કે બંને દાઝી જતા બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજકોટમાં રામેશ્વર ચોક નજીક ચંદ્રનગર સોસાયટીમાં રહેતી સગર્ભા મહિલાને નણંદોયા ચેતન પલાણે પેટ્રોલ છાંટી સળગાવી હતી. ત્યારબાદ બાથ ભરી પોતે પણ સળગ્યો હતો. ત્યારબાદ બન્ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ચેતન પલાણે એક તરફી પ્રેમમાં પાગલ બનીને આ કૃત્ય આચર્યું હતું. છેલ્લા એક વર્ષથી ચેતન સાળાની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. જે બાબતે અગાઉ ચેતનને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ પ્રેમમાં આંધળા બનેલા ચેતન આજે સાસુના ઘરે અગનખેલ ખેલવાના ઇરાદે ધસી આવ્યો હતો.
મહત્વનું છે કે સમગ્ર ઘટના બાદ મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંનેને સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.