આજકાલ મોબાઈલ ફોન આપણી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. મોબાઈલ ફોનમાં આપણી વાતચીતનો તમામ રેકોર્ડ અને આપણી ઘણી અંગત માહિતી પણ હોય છે. એવા સંજોગોમાં મોબાઈલની ઉપયોગિતાની સાથે તેની પ્રાઈવસી અંગે પણ મોટાભાગના લોકો સાવધ રહેતા હોય છે.
ચોંકાવનારો ખુલાસો
દેશમાં એક જ IMEI ઘરાવતા એક લાખથી વધુ મોબઇલ સક્રિય
મધ્યપ્રદેશમાંથી એક જ IMEI ધરાવતા 125 મોબાઇલ મળતા ચકચાર
કોઈ પણ મોબાઇલ ફોનને તેની સૌથી અલગ અને અનોખી ઓળખ આપતા આઈએમઈઆઈ (ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) નંબર અંગે દેશમાં ચાલતી એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. મધ્યપ્રદેશની ઝોનલ સાઈબર પોલીસની ટીમ છેતરપિંડીના તમામ રહસ્યો ઉકેલવામાં સફળ રહી છે અને તેનો પર્દાફાશ કર્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ આઈએમઈઆઈ નંબર પર આખા દેશમાં એક લાખથી પણ વધુ મોબાઈલ ફોન સક્રિય છે.
જબલપુરમાં એક જ IMEI ના 125 મોબાઇલ મળતા ચકચાર
એકલા જબલપુરમાં જ એક જ IMEI નંબર પર કાર્યરત 125 મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે લગભગ 50 હજાર મોબાઈલની માહિતી પોલીસ હેડ કવાર્ટર (પીએચક્યુ)ને મોકલી આપી છે. બાકીના નંબરોનું એક લિસ્ટ બનાવી દેવાયું છે અને તેની વિસ્તૃત વિગતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
IMEI નંબર બદલવાનું કૌભાંડ
આ અગાઉ એક પત્રકાર પરિષદમાં પોલીસ મહાનિરીક્ષક (આઇજી) વિવેક શર્માએ આ સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી હતી. એવું કહેવામાં આવે છે કે, થોડા દિવસો પહેલા આઇજીને ગુપ્ત માહિતી મળી હતી કે જિલ્લાના ઘણા મોબાઇલ વેપારીઓ ચોરેલા મોબાઈલના આઈએમઈઆઈ નંબર બદલી રહ્યા છે. જબલપુરના જયંતિ કૉમ્પ્લેક્સ ઓમતી સ્થિત સિદ્ધિ વિનાયક મોબાઇલ શૉપમાં આ કૌભાંડ પુરજોશમાં ચાલી રહ્યું હતું. આઇજીના આદેશ બાદ ઝોનલ સાઈબર પોલીસ ટીમે ઊંડી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન થોડા દિવસો પહેલા સિદ્ધિ વિનાયક મોબાઈલ શૉપમાંથી એક આ પ્રકારના જ IMEI નંબર સાથે ચેડાં કરાયેલા મોબાઈલની માહિતી મળી હતી. વીવો કંપનીના મોબાઈલની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેના આઈએમઈઆઈ નંબર બદલી નાંખવામાં આવ્યા હતા. સિદ્ધિ વિનાયક મોબાઇલ શૉપના ઑપરેટર પ્રદીપ ઠાકુરે આ તમા ફોનના આઈએમઈઆઈ બદલ્યા હતો.
વીવો કંપનીના મોબાઇલના બદલાયા IMEI
જ્યારે ટીમે આઈએમઈઆઈની તપાસ કરી ત્યારે દેશના ખૂણે ખૂણામાં એક જ IMEI નંબર પર સક્રિય એક લાખથી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જબલપુરમાં 125 મોબાઈલ મળી આવ્યા હતા, જેના યુઝર્સનો પોલીસનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં તેમના મોબાઈલનો સમાવેશ કર્યો હતો. એક જ IMEI નંબર પર દેશમાં સક્રિય તમામ મોબાઈલ ફોન વીવો કંપનીના નીકળતા અધિકારીઓ પણ મૂંઝાઈ ગયા હતા.
તપાસના આદેશ અપાયા
પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે, તપાસમાં હજુ પણ અનેક મોબાઈલ ફોન એક જ IMEI નંબર પર સક્રિય મળી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સંપર્ક કરીને આગામી કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (સીઈઆઈઆર)માં સંબંધિત IMEI નંબર દાખલ કર્યા બાદ તમામ મોબાઈલ નંબરોને નેટવર્કમાંથી કાયમ માટે બહાર કરી શકાય.