આણંદમાં પાંચ દિવસ અગાઉ ગાયે એક વૃદ્વને અડફેટે લેતા આજે અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું.
રખડતા ઢોરને કારણે વધુ એક જીંદગી હોમાઇ
ગાયે શિંગડુ મારતા આણંદના વૃદ્વનું સારવાર દરમ્યાન મોત
પાંચ દિવસ અગાઉ ગાયે વૃદ્વને અડફેટે લીધા હતા
રાજ્યમાં છેલ્લાં ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રોજબરોજ કોઇને કોઇ ઘટના સામે આવતી જ રહે છે. રસ્તા વચ્ચે રખડતા ઢોરના કારણે ઘણાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક જીંદગી હોમાઇ ગઇ છે. આણંદમાં પાંચ દિવસ અગાઉ ગાયે એક વૃદ્વને અડફેટે લેતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
ગાયનું શિંગડું વાગતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત
આણંદના બાલુપુરા ભાથીજી મંદિર નજીક પાંચ દિવસ અગાઉ એક વૃદ્ધને ગાયના શિંગડાનો માર વાગતા ઘાયલ થયા હતાં. આથી તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે જ બનાસકાંઠામાં રખડતા પશુઓના કારણે એક આર્મી જવાનનું મોત થતા ભારે ચકચાર મચી ગઇ છે. કાંકરેજના અરડુંવાડા પાસે બાઇક પર સવાર આર્મી જવાનના આડે પશુ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જવાન અમરતભાઇ માળીનું મોત નિપજ્યું છે. તેઓ દિયોદરના વડીયા ગામના વતની હતા. મૃતક આર્મી જવાન આસામમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. રજાઓ હોવાથી આસામથી પોતાના વતન આવ્યા હતા. આસામથી ગાંધીનગર અને ત્યાંથી બાઇક લઇને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ બનાવ બન્યો.
પરિવાર શોકમાં ગરકાવ
આસામમાં ફરજ નિભાવનાર જવાન રજા લઇને ઘરે આવી રહ્યો હતો. ઘરના સભ્યોમાં હરખની લાગણી હતી. કાગડોળે રાહ જોઇ રહ્યા હતા કે તેઓ ક્યારે ઘરે આવે. પરંતુ પળવારમાં જ આ ખુશીની લાગણી માતમમાં ફેરવાઇ ગઇ. આર્મી જવાનના મોતની ખબર આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યુ. ઘટનાને પગલે શિહોરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
ઉલ્લેખનીય છે કે એ સિવાય વડોદરામાં ગાયે શિંગડુ મારતા એક વિદ્યાર્થીએ આંખ ગુમાવી હતી. આ મામલે પણ હજુ સુધી પોલીસે ગાયના માલિકને શોધી નથી પાડ્યો. મહત્વનું છે કે 12મેના રોજ આ ઘટના બની હતી. આ વાતને બે અઠવાડિયા જેટલો સમય વીતિ ગયો પરંતુ પોલીસ હજુ તે ગાય કે તેના માલિકને શોધી શકી નથી. આથી પોલીસ હવે કોર્પોરેશનની મદદ લેશે. ઢોર પાર્ટીના અનુભવી કર્મચારીઓની ગાય શોધવામાં મદદ લેવાશે. ગાયની ઓળખ કરીને ગાયના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરામાં ગાયે શિંગડું મારતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ હતી
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. MSUમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જ્યારે ગોવર્ધન ટાઉનશિપ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક ગાયે વિદ્યાર્થીને અડફેટમાં લેતા તે એક્ટિવા પરથી નીચે પડ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ડિવાઈડર કૂદીને ગાયે એક્ટિવા સાથે વિદ્યાર્થીને પછાડ્યો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીને ગાયનું શિંગડું આંખમાં વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.
ક્યારે દૂર થશે રખડતા ઢોરોનો ત્રાસ ?
સ્માર્ટસિટી કહેવાતા વડોદરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો જોવા મળી રહ્યો છે કે તે કદાચ આગામી સમયમાં કોઇનો જીવ પણ લઇ લે તો કદાચ નવાઇ નહીં. તમને જણાવી દઇએ કે, રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજુ જાહેર રસ્તાઓ પર ઢોર ફરી રહ્યાં છે, જેના કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યાં છે.