ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ખાનગી ઓફિસમાં 100 ટકા સ્ટાફને મંજૂરી
કોરોનાના કેસ ઘટતા લેવાયો નિર્ણય
ભારતમાં ધીમે ધીમે ઓછી થઈ રહી છે કોરોનાની બીજી લહેર
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના વાયરસના સતત વધતાં કેસના કારણે ભારતભરમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ આંશિક લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યારે હવે ધીમે ધીમે નિયમોમાંથી છૂટછાટ આપવામાં આવી રહી છે તથા ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ અનલોકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કોરોનાના કારણે ઓફિસોમાં સ્ટાફમાં મૂકાયો હતો કાપ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે મોટા ભાગના શહેરોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા જે હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની ખાનગી કંપનીઓમાં માત્ર 50% કર્મચારીઓની હાજરી સાથે કામની પરવાનગી આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની પ્રથા ચાલુ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ બાદ હવે ફરી ગુજરાતની ઓફિસોમાં પહેલા જેવો માહોલ જોવા મળશે.
સીએમ રૂપાણીએ આજે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. ઘટતા કોરોના વાયરસના કેસના કારણે નાઈટ કર્ફ્યૂ તથા દિવસમાં વેપાર ધંધામાં પણ ગુજરાત સરકાર દ્વારા રાહત આપી દેવામાં આવી છે ત્યારે શુક્રવારે રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓ તથા ખાનગી ઓફિસોમાં હવે 100 ટકા સ્ટાફને કામ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાતમી જૂનથી ગુજરાતની ઓફિસો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી થઈ જશે. આવતીકાલે શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.