અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા માંગણીઓને લઇને આંદોલન કરવામાં આવી રહ્યો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ત્યારે મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પનારાએ કહ્યું કે હાર્દિકને ફરીથી ઉપવાસ છાવણીમાં લાવવામાં આવ્યો છે.
સરકાર પર આક્ષેપ કરતા પનારાએ કહ્યું કે ગુજરાતમાં ચોરી અને લૂંટ કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભૂમાફિયા અને ખનન માફિયાઓ સામે કાર્યવાહી થતી નથી.
વધુમાં તેમણે કહ્યું કે આંદોલન કરનારને ગુનેગાર માનવામાં આવે છે. રોજગારી અને અનામત માગનાર સામે કેસ થાય છે. ગુજરાતમાં આઝાદી નથી. ગુજરાતમાં તાનાશાહી આવી ગઇ છે. ગુજરાતમાં લોકશાહી ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પોલીસને હાથો બનાવીને સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે. મીડિયા અને આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થાય છે. સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ વર્તન કરી રહી છે. હાર્દિકના ઘરનું પાણી રાશન રોકવામાં આવ્યું છે.
ત્યારે હાર્દિક પટેલે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો છે. હાર્દિકે પોસ્ટ કરીને યુવાનોને જણાવ્યુ હતું કે મારા સમર્થનમાં જે યુવાનો ઉપવાસ પર છે તેમણે પારણા કરી લેવા.
સાથે જ હાર્દિકે જણાવ્યુ હતું કે અત્યાર સુધી તેમણે અન્નનો એક પણ દાણો ખાધો નથી. અનામત અલ્પેશ કથિરીયાને જેલમુક્ત અને ખેડૂતોના દેવા માફીની માગ જ્યા સુધી ન સ્વીકારાશે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.