સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓને આકર્ષવાની સરકારી પહેલ વચ્ચે અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં ગઢડા ગામનાં વિદ્યાર્થીઓ શાળાનાં અભાવે દૂધમંડળીનાં મકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. કારણ કે જર્જરિત શાળાનાં નામે સરકારી શાળાના તોડી પડાયેલા મકાને આઠ માસ વીતી ગયા છે છતાં તંત્રને હજુ અહીં શાળા નામે એક ઈંટ પણ મૂકવાની ફૂરસદ મળી નથી. શિક્ષણ વિભાગ (Education department) નું સરકારી વહીવટી તંત્ર સરકારી શાળા માટે બાળકોને શોધવા શેરીઓમાં ઊતરી પડે છે અને શાળાઓમાં વાજતે ગાજતે પ્રવેશોત્સવો યોજે છે. પરંતુ અહીં તો વિદ્યાર્થીઓ ભણવા તૈયાર છે પરંતુ તેમનાં માટે શાળા ઊભી કરવાનું જ તંત્ર જાણે ભૂલી ગયું છે.
જ્યાં દેશનાં ભાવિને ઘડવાનું હોય છે તેવી ઈમારતની જ ઈંટ પણ ન મૂકાય તો વિદ્યાર્થીઓની દુર્દશા સિવાય સમાજને કશું હાથ લાગતું નથી. આવી જ કંઈક દુર્દશાથી અરવલ્લી જિલ્લાનાં ગઢડા (Gadhada) પ્રાથમિક શાળાનાં બાળકો મુરઝાઈ રહ્યાં છે. જર્જરિત શાળાનું નામ આપી તેને તોડી પાડયા બાદ તંત્ર જાણે નવી શાળા બનાવવાનું ભૂલી ગઈ છે અને આ તરફ કુમળા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દૂધ મંડળીની પારકી ઓસરીના ઓસિયાળા બન્યા છે. ત્યારે જોઈએ આ ઘોરતા તંત્ર અને રઝળતા ભાવિનો આ અહેવાલ.
સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓને આકર્ષવાની સરકારી પહેલ વચ્ચે અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં ગઢડા ગામનાં વિદ્યાર્થીઓ શાળાનાં અભાવે દૂધમંડળીનાં મકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. કારણ કે જર્જરિત શાળાનાં નામે સરકારી શાળાના તોડી પડાયેલા મકાને આઠ માસ વીતી ગયા છે છતાં તંત્રને હજુ અહીં શાળા નામે એક ઈંટ પણ મૂકવાની ફૂરસદ મળી નથી.
શિક્ષણ વિભાગ (Education department) નું સરકારી વહીવટી તંત્ર સરકારી શાળા માટે બાળકોને શોધવા શેરીઓમાં ઊતરી પડે છે અને શાળાઓમાં વાજતે ગાજતે પ્રવેશોત્સવો યોજે છે. પરંતુ અહીં તો વિદ્યાર્થીઓ ભણવા તૈયાર છે પરંતુ તેમનાં માટે શાળા ઊભી કરવાનું જ તંત્ર જાણે ભૂલી ગયું છે. ગામનાં સરપંચ દ્વારા આ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર જાણે આ મુદ્દો જ વિસરી ગયું હોય તેમ આ દિશામાં કોઈ કાર્યવાહી જ થઈ નથી.
મોડાસા તાલુકાનાં ગઢડા ગામે ધોરણ 1થી 8માં 100 જેટલા બાળકો નોંધાયેલા છે. પરંતુ હાલ આ તમામ બાળકો ગામની સહકારી દૂધમંડળીની ઓસરીમાં ભણવા મજબૂર બન્યાં છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે સાથે સાથે શાળાઓનું નવું સત્ર પણ શરૂ થઈ ગયું છે અને આ તરફ ખુલ્લી ઓસરીમાં અને જર્જરિત છત નીચે બાળકો અભ્યાસ કરવા મજબૂર છે. વાલીઓએ અનેક વાર શિક્ષણ તંત્રને રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી નવી શાળા બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યાં નથી.
હાલ ગઢડા ગામનાં વિદ્યાર્થીઓ દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીનાં મકાનો તેમજ એક ખાનગી બંધ મકાનની ખુલ્લી ઓસરીમાં બેસી અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ સુરતની આગજન્ય ઘટના બાદ આ ગામનાં દૂધ ડેરીનાં વહીવટદારો પણ આ બાળકોને ડેરીનાં મકાનમાં બેસાડીને જોખમની જવાબદારી લેવા માટે તૈયાર નથી. વહીવટદારો દ્વારા માનવતા દાખવીને થોડા સમય માટે બાળકોને બેસાડવાની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આઠ આઠ મહિના સુધી નવા મકાન માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નહીં તેથી બાળકોને બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે શાળાનાં આચાર્યને મંડળી દ્વારા જણાવી દેવાયું છે.
ત્યારે હાલ તો શાળાના મકાનનાં અભાવે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું છે. જેનાં કારણે વાલીઓ ચિંતામાં મુકાયા છે. તંત્રની લાલિયાવાડી અને સરકારી વિલંબને કારણે અનેક બાળકોનું ભણતર બગડી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયાની અને જેટ ગતિએ અન્ય ગ્રહો પર પહોંચવાની વાતો કરતી સરકાર આઠ મહિના બાદ પણ એક શાળાના ઓરડા ઊભા કરી શકી નથી તે વાત શિક્ષણ પ્રત્યે પોતે ચિંતીત હોવાના સરકારી દાવાની પોકળતા સાબિત કરે છે.