જગન્નાથપુરીમાં જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળતા અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી આશા જાગી હતી. રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શરતો આધિન અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવે. પરંતુ હાઇકોર્ટે તમામ અરજીઓ રદ્દ કરી દીધી છે. અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે મોડી રાત્રે ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે, રથ મંદિરમાં જ બરોબર છે. સરકાર રથયાત્રાની નહીં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે. જોકે હવે હાઇકોર્ટે અરજીઓને નકારી દેતા 142 વર્ષ જૂની પરંપરા તૂટશે. મહત્વનું છે કે આ અગાઉ પણ કોરોનાના કારણે રથયાત્રા પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.
અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો
કોરોના મહામારી વચ્ચે રથયાત્રા યોજવા મંજૂરી નહીં
ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ રદ કરી
રથ મંદિરની બહાર નહીં નિકળે: હાઈકોર્ટ
ભક્તો માટે માંઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં રથયાત્રા યોજવા માટે અમદાવાદીઓ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, રાજ્ય સરકાર અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આ અંગે 4 જેટલી અરજીઓ પર હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર સાથે વાતચીત બાદ એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે હવે રથયાત્રા મંદિરની બહાર નહીં યોજાય. રથ મંદિરની અંદર જ રહેશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવામાં આવશે.
રથયાત્રા કરતા સરકાર લોકોના જીવની ચિંતા કરે: હાઇકોર્ટ
અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે મોડી રાત્રે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે તમામ અરજીઓ રદ્દ કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, રથ મંદિરમાં એજ બરોબર છે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે. ભક્તો વગરની રથયાત્રાનો કોઈ અર્થ નથી. કર્ફ્યૂના નામે કોઈને હેરાન ન કરાય.
હાઇકોર્ટે કહ્યું કે, પુરી અને અમદાવાદની સરખામણીના થાય. ધાર્મિક લાગણી ના દુભાય તે જરૂરી નથી સ્વસ્થ્ય જરૂરી છે. સરકાર લોકોના જીવની ચિંતા કરે, સરકાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે.
રાજ્ય સરકારે કોર્ટમાં કરી હતી આ રજુઆત
HCમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, SCની શરતો આધારે રથયાત્રાને મંજૂરી આપો, જનતા કર્ફ્યુ એક દિવસ રાખીને રથયાત્રા થઈ શકે. તો રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે વધુ વ્યક્તિઓને એકત્ર નહીં થવા દેવામાં આવે અને ખુબ જ સાદાઇથી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. પરંતુ હાઇકોર્ટ રથયાત્રાને નિર્ધારિત રૂટ પર લઇ જવા માટેની મંજૂરી આપે. સવારે 11 વાગ્યા સુધી રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યુ લગાવીશું, રથયાત્રા સવારે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું, રથયાત્રા કોઈપણ સ્થળે રોકાશે નહીં. જોકે સરકાર અને અન્ય તમામ અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે રથ મંદિર બહાર નહીં આવે મંદિરમાં જ રથ ફરશે.
ગૃહ રાજ્યમંત્રી, મેયર સહિતના લોકો મંદિરમાં ઉપસ્થિત
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટ મહેન્દ્ર ઝા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મેયર બિજલબેન પટેલ સહિતના લોકો મંદિરમાં હાજર રહ્યા હતા. અમદાવાદની રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું, હાઇકોર્ટના નિર્ણયને માન્ય રાખીને આગળ કામ કરવામાં આવશે. મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.
VHP, હિન્દુ યુવા વાહિનીની અરજી હાઇકોર્ટે ફગાવી
આ અગાઉ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, કોર્ટ શરતોને આધિન અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી મળશે. પરંતુ હાલ કોર્ટે આ તમામ અરજીઓ ફગાવી છે. ગુજરાત હાઇકોર્ટમાં વધુ બે કરવામાં આવેલી અરજીઓ અને હિન્દૂ યુવા વાહિની અને VHPની અરજીને પણ ફગાવી દેવાઇ હતી.
રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે પણ સમીક્ષા કરી હતી
મહત્વનું છે કે, જો કોર્ટે મંજૂરી આપી હોત તો ભગવાન ટ્રેક્ટરમાં નગરચર્યા પર જાય તેવી તૈયારી કરવામાં આવી હતી. આ માટે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે પણ સમીક્ષા કરી હતી. બીજી તરફ રથયાત્રાને મંજૂરીની શક્યતાને લઇને રથયાત્રાના રૂટ પર અમદાવાદમાં પોલીસે રિહર્સલ પણ કર્યું હતું. પરંતુ જોકે હવે રથ મંદિરની અંદર જ ફરશે.
મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિર ખાતે યોજી હતી બેઠક
સોમવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરવા CM રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. આરતી બાદ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM રૂપાણી મહત્વની બેઠક કરી હતી. તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે CM બેઠક કરી હતી. જેમાં મેયર બિજલ પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિરના મહંત દિલીપદાસજી અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે રથયાત્રા અંગે ચર્ચા કરી હતી.
સરકારના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી, CM રૂપાણીએ કહ્યું હતું કે, રથયાત્રાની શરતી મંજૂરી માંગી છે
આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આરતી અને દર્શનનો લાભ મળ્યો છે. SCએ ઓરિસ્સામાં કોરોનાના કારણે રથયાત્રા ન નીકળે એવો ઓર્ડર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે શરતો સાથે યાત્રા યોજવા મંજૂરી આપી હતી. ઓરિસ્સાની જેમ અમદાવાદમાં પણ રથયાત્રાની પરંપરા છે. તેથી કોર્ટના રિસ્ટ્રિક્શન મૂજબ રથયાત્રાની મંજૂરી માટે રજૂઆત કરીશું. રથયાત્રાની શરતી મંજૂરી માટે સરકાર કોર્ટને વિનંતી કરશે. હાઇકોર્ટ જે શરતો કહેશે તે મુજબ રથયાત્રાના આયોજનની તૈયારીઓ માટે સક્ષમ છીએ. આપણે રથયાત્રા કાઢી શકીયે તેવી શ્રદ્ધા છે. જોકે સરકાર તરફી એડવોકેટ દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે.