ઉનાળામાં સામાન્ય રીતે ગરમીનાં કારણે દૂધનું ઉત્પાદન ઘટતા દૂધનાં ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે ઉનાળામાં લોકોને ભાવ વધારાનો સામનો નહીં કરવો પડે. કારણ કે અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મધર ડેરીમાં યોજાયેલી બેઠક બાદ દૂધમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતની ખાતરી ખુદ અમૂલનાં એમ.ડી. આર.એસ.સોઢીએ આપી છે. જો કે આ બેઠક બાદ અમૂલનાં સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને બેંક લોનનાં વ્યાજમાં રાહત આપવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ આપણા દેશમાં દિવસે ને દિવસે ફુગાવો વધતો જાય છે. તેમજ અવાર નવાર અલગ-અલગ રોજિંદા જીવનની વસ્તુઓમાં ભાવ વધતા જાય છે. જેમ કે પેટ્રોલ-ડીઝલ અનાજ અને શાકભાજી.
રોજિંદા જીવનમાં વપરાતી દરેક ચીજ વસ્તુઓ કે જેનાં ભાવમાં સતત વધારો થતો જાય છે ત્યારે એવામાં હવે પાછી ઉનાળાની ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે. ત્યારે શાકભાજીનાં ભાવમાં પણ વધારો થતો જાય છે અને સાથે-સાથે દૂધનાં ભાવમાં પણ વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે સામાન્ય જનતા માટે ખુશીનાં સમાચાર છે. આ વર્ષે એવું નહીં બને. એટલે કે દૂધનાં ભાવમાં આ વખતે કોઇ પણ જાતનો વધારો નહીં થાય.