બિહારના રાજકારણમાં નીતિશ કુમારનો જમણો હાથ મનાતા આરસીપી સિંહ નારાજ થયા છે અને નીતિશ કુમાર પર પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે.
નીતિશ કુમારના ખાસ મનાતા નેતાએ બળવો કર્યો
પાર્ટીએ રાજ્યસભામાં ન મોકલતા માઠુ લાગ્યું હોવાના વાવડ
નીતિશ કુમારને લઈને કહી દીધી આ મોટી વાત
બિહારના રાજકારણમાં નીતિશ કુમારનો જમણો હાથ મનાતા આરસીપી સિંહ આજકાલ નારાજ ચાલી રહ્યા છે. ટાર્ગેટ પર પોતાના જ નેતા નીતિશ કુમાર છે. જેડીયૂને ડૂબતું જહાજ કહેનારા આરસીપી સિંહ હવે નીતિશ કુમારને પ્રધાનમંત્રી બનવાના સવાલ પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, સાત જનમમાં પણ નીતિશ કુમાર પ્રધાનમંત્રી નહીં બની શકે. જેડીયૂમાંથી રાજીનામું આપનારા આરસીપી સિંહ છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીમાંથી સાઈડલાઈન થતાં ગુસ્સે ભરાયા છે. નીતિશ કુમાર વિરુદ્ધ ટાર્ગેટ કરતા આરસીપી કેમ્પના નેતાઓ પણ તેમનાથી અંતર બનાવા લાગ્યા છે.
પોતાની જ પાર્ટીએ આરસીપી સિંહને ખુલ્લા પાડ્યા
આરસીપી સિંહે કહ્યું કે, મારી છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. મારા પર બેનામી સંપત્તિ એકઠી કરવાનો ખોટો આરોપ લગાવામાં આવી રહ્યો છએ. પાર્ટીમાં કંઈ બચ્યું નથી. તે એક ડૂબતુ જહાજ છે. તેમણે પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, અમારી સામે વાંધો છે, તો મુકાબલો કરો. સામે આવીને બોલો. અમારી પાસે વિકલ્પો ખુલ્લા હોય છે. મીડિયા તરફથી સવાલ કરવામાં આવ્યો છે કે, શું નીતિશ કુમાર દેશના પ્રધાનમંત્રી બનવા માગે છે ? તો તેમણે જવાબ આપ્યો કે, સાત જનમમાં પણ તેઓ વડાપ્રધાન નહીં બની શકે. આ જનમની વાત તો છોડો.
આ કારણે નારાજ હતા પાર્ટીથી
આરસીપી સિંહ ત્રીજી વાર રાજ્યસભામાં નહીં મોકલતા કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવી દીધા બાદ નારાજ ચાલી રહ્યા છે. ગત દિવસોમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે કોઈના હનુમાન નથી. હકીકતમાં તેમને પુછવામાં આવ્યું હતું કે, આજે પણ તમે નીતિશ કુમારના હનુમાન છો. આવા સમયે શું એમની સાથે બળવો કરશો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું કોઈનો હનુમાન નથી. મારુ નામ રામચંદ્ર છે.