નાણામંત્રી અરૂણ જેટલીએ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. સૌ કોઈને એ જાણવામાં રસ છે કે બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે. જાણો બજેટની મોટી વાતો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરાઈ આ મોટી જાહેરાતો
આખા વર્ષ દરમિયાન દેશની આવકો અને ખર્ચાનો જે અંદાજ આંકવામાં આવે છે તે અંદાજપત્ર દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ સંસદમાં રજૂ કર્યું. જેમાં જુદા જુદા ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેની મોટી વાતો પર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા 23 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત 2019 સુધીમાં એક કરોડ ઘર બનાવવામાં આવશે. તો પ્રધાનમંત્રી સડક યોજના માટે 2019 સુધીમાં ચાર લાખ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહિ આગામી વર્ષના મે માસ સુધીમાં દેશના તમામ ગામોમાં વીજળી પહોંચાડવાની યોજના છે. તો ઈફ્રાસ્ટ્રક્ચર માટે 3.96 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે PPP મોડલ અંતર્ગત નાના શહેરોમાં પણ એરપોર્ટ બનાવવામાં આવશે.
રેલવે માટે કરાઈ આ મોટી જાહેરાતો
જો રેલવે ક્ષેત્રની વાત કરવામાં આવે તો રેલવે સુરક્ષા માટે એક લાખ 31 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે. તો 25 નવા રેલવે સ્ટેશનોની પણ જાહેરાત કરવામાં આવી છે. અંદાજ મુજબ 2020 સુધીમાં તમામ ક્રોસિંગ સંપૂર્ણપણે માનવસહિત થઈ જશે. જેને પગલે રેલ અકસ્માતોની સંખ્યા ઘટશે. તો રેલવેમાં સ્વચ્છતા સુરક્ષા 3500 કિલોમીટર નવી રેલલાઈન બનશે. જ્યારે 7 હજાર સ્ટેશનો પર સોલાર લાઈનો લગાવવામાં આવશે. તો IRCTC પરથી ઈ-ટિકિટ લેવાથી કોઈ સર્વિસ ચાર્જ નહિ લાગે. અંદાજ મુજબ મેટ્રો રેલ માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવશે. તો પ્રવાસન અને ધાર્મિક યાત્રાઓ માટે અલગથી ટ્રેન ચલાવવામાં આવશે.
ખેડૂતો માટે કરાઈ આ મોટી જાહેરાતો
જો કૃષિ ક્ષેત્રે વાત કરવામાં આવે તો બજેટમાં મોટી જાહેરાત એ કરાઈ છે કે ખેડૂતોને લોન આપવા માટે 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને લોન આપનારી સંસ્થાનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે. તો 2017-18માં કૃષિ વિકાસ દર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે પાકવીમો હવે 30ની જગ્યાએ 40 ટકા સુધીનો આપવામાં આવશે. જેના માટે 9 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવામાં આવશે. તો દેશમાં 10 લાખ તળાવો બાંધવાનું લક્ષ્ય પણ પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 8 હજાર કરોડ અને સિંચાઈ ફંડ માટે 5 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્રેની મોટી જાહેરાતો
આરોગ્ય ક્ષેત્રે વર્ષોથી ભારતમાં ખાસ ભાર આપવામાં નથી આવતો. તેવી જ રીતે આ વર્ષે પણ આરોગ્યક્ષેત્રે ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એઈમ્સ હોસ્પિટલ બનાવવા અને 2018 સુધીમાં રક્તપીત્ત તેમજ 2022 સુધીમાં ટીબી ખતમ કરવાની જાહેરાત સિવાય કોઈ મોટી યોજના જાહેર નથી કરાઈ.
શિક્ષણ ક્ષેત્રે કરાઈ આ મોટી જાહેરાતો
તેવી જ રીતે શિક્ષણમાં પણ સરકાર ઉણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે કરાયેલી જોગવાઈઓની વાત કરવામાં આવે તો 350 ઓનલાઈન અભ્યાસક્રમોની શરૂઆત થશે. સ્કિલ ઈન્ડિયા અંતર્ગત 1 હજાર કૌશલ કેન્દ્ર ખોલવામાં આવશે. IIT અને મેડિકલની પરીક્ષાઓ માટેની બોડી અલગથી બનશે. તો રાષ્ટ્રીય પરીક્ષા યોજના બનાવવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો ઉચ્ચ શિક્ષણ સુધારવા માટે યુજીસીમાં સુધારો કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.