જમ્મુના પૂંછમાં આવેલા અલ્હાપિર વિસ્તારમાં આજ-રવિવારે સેના તથા આતંકીઓ વચ્ચેના સામસામા ફાયરિંગમાં પોલીસ કોન્સ્ટેબલ શહિદ થઈ ગયા છે જ્યારે સબ ઈન્સ્પેકટર ઈજાગ્રસ્ત થયાં છે. ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને પણ ઠાર કરી નાખ્યા છે.
બે આતંકવાદીઓને ઝડપી લેવાયા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. પ્રથમ આતંકવાદી પૂંછના મિની સચિવાલય અને બીજા આતંકવાદી સ્થાનિક રહેવાસીના ઘરમાં ઘૂસી ગયો હતો. સામસામા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા સબ ઈન્સ્પેકટર મંજૂર અહેમદને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સંદીપકુમાર શહીદ થઈ ગયા છે. હુમલાને પગલે વિસ્તાર ખાલી કરી દેવાયો છે અને લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. હુમલાની આ ઘટનામાં કેટલા આતંકીઓ સામેલ છે તે અંગે જાણકારી હજુ સુધી મળી નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક ઠેકાણેથી ગોળીબાર કરાય છે. છેલ્લાં કેટલાક મહિનાથી જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારમાં આતંકીઓની સેના સાથે અથડામણ સર્જાઈ છે. કુપવાડા જિલ્લામાં આઠ ઓગસ્ટે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે આતંકીઓ અને સેના સાથેની અથડામણમાં બીએસએફના બે જવાનો શહિદ થઈ ગયા હતાં. જ્યારે એક આતંકીને પાડી દેવાયો હતો. આ અગાઉ પુલવામામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.