ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી વિદેશમાં રજાઓ માણી રહ્યા છે પરંતુ ચૂંટણીની હારના ઝટકા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે ઝટકો છે નેશનલ હેરાલ્ડ સમાચારપત્રનો...દિલ્હીની પટિયાલા કોર્ટે રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે સમન્સ જાહેર કર્યા છે. મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટના કહેવા મુજબ તમામ આરોપીઓ સામે પ્રથમદ્રષ્ટા પૂરાવાઓ હાથ લાગ્યા છે તેથી કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધી સહિત અન્ય પાંચને સમન્સ પાઠવ્યું છે.તથા કોર્ટ આ મામલે 7 ઑગસ્ટ સુધી હાજર રહેવા આદેશ પણ કર્યો છે. સોનિયા અને રાહુલ સિવાય જેમને સમન્સ ફટકાર્યા છે તેમાં કોંગ્રેસના નેતા ઓસ્કાર ફર્નાન્ડિસ મોતિલાલ વોરા સામ પિત્રોડા તથા પૂર્વ પત્રકાર સુમન દુબેનો સમાવેશ થાય છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા વર્ષ 1938માં 'નેશનલ હેરાલ્ડ' નામનું અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. જેને વર્ષ 2008માં બંધ કરી દેવાયું હતું. હાલમાં બંધ થઈ ગયેલા અખબારના કેસમાં નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો સ્વામીએ આરોપ મુક્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ માંગ કરી હતી કે કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીના પાસપોર્ટ્સ જપ્ત કરી લેવા જોઈએ જેથી તેઓ સુનાવણી દરમિયાન દેશમાંથી બહાર ન જઈ શકે. આ કેસ સમાચારપત્ર 'નેશનલ હેરાલ્ડ'ની રૂ. બે હજાર કરોડની સંપત્તિનો છે. કોંગ્રેસના નેતાઓએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સમાચારપત્રની સંપત્તિ પચાવી પાડી છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે રૂ. 90 કરોડની લોન નેશનલ હેરાલ્ડને આપી હતી. કોઈ રાજકીય પક્ષ કોઈને નાણા ઉધાર ન આપી શકે. સ્વામીના કહેવા પ્રમાણે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે વિશ્વાસઘાતની ફરિયાદ થઈ શકે અને બંનેને સાત વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
આ મામલે કોંગ્રેસે કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા અને બદનક્ષીભર્યાં છે જેનો કોર્ટમાં યોગ્ય જવાબ આપવામાં આવશે.
વર્ષ 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ પ્રથમ વખત આ આરોપ મુક્યો ત્યારે રાહુલ ગાંધીએ સ્વામીની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. જો કે ફરિયાદ દાખલ કરી ન હતી. રાહુલ ગાંધીએ આરોપોને 'બદઈરાદાપૂર્વકના પૂર્ણપણે જૂઠા પાયાવિહોણા અને બદનક્ષીપૂર્વક'ના કહ્યા હતા.ત્યારે હવે કોર્ટ આ મામલે તપાસ કરશે અને તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે