મુસ્લિમ....દેશની એક એવી પ્રજા કે જેની વસ્તી તો છે 25 કરોડ. પરંતુ રાજકીય દ્રષ્ટિએ આ 25 કરોડ લોકો એ દેશના નાગરિકો નથી પરંતુ વોટબેંક છે. અને આવી સ્થિતિ આજકાલથી નથી. આ તો આઝાદી બાદથી ચાલ્યો આવતો સિરસ્તો છે. અત્યાર સુધી દેશે અનેક સરકારો જોઈ. અનેક ચૂંટણીઓ જોઈ અનેક પક્ષો પણ જોયા અને દરેક પક્ષ માટે મુસ્લિમોનું શું મહત્ત્વ છે તે પણ જોયું..આમ છતા આશ્ચર્યની વાત એ છે કે પોતે રાજકીય પક્ષો માટે માત્ર વોટબેંકની વિશેષ કંઈ નથી તે જાણતા હોવા છતા દેશના મુસ્લિમો વર્ષોથી ખુશી ખુશી પોતાનો ઉપયોગ થવા દે છે. સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત મુસ્લિમોના રાજકીય મહત્વની કરીશું..અમારી આ વિશેષ રજૂઆતથી એ વાત ક્લિઅર થઈ જશે કે રાજકીય પક્ષો માટે મુસ્લિમો એ વોટબેંક કેમ છે.
કોંગ્રેસ અને ભાજપ સહિત દરેક રાજકીય પાર્ટીઓ ભલે વિકાસ અને સુશાસનના નામે લોકસભાની ચૂંટણી લડવાની વાતો કરતી હોય. પરંતુ નગ્ન વાસ્તવિકતા તો એ છે કે આજે પણ આપણા દેશમાં વિકાસના બદલે જ્ઞાતિવાદ અને ધાર્મિક ગણિતને ધ્યાનમાં રાખીને જ રાજકીય ચોકડા ગોઠવાય છે. ખાસ કરીને મુસ્લિમ મતદારો માટે... આમ જોવા જઈએ તો ભારતમાં જૈન ખ્રિસ્તી અને બૌદ્ધ સહિત અનેક ધર્મ લઘુમતિમાં આવે છે પરંતુ આ ધર્મના લોકોની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ 13થી 14 ટકા મુસ્લિમોની વસ્તી 25 કરોડથી પણ વધારે છે. આઝાદી બાદથી અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મુસ્લિમ મતદારો જ સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. હિંદુઓની વસ્તી ભલે 90 કરોડ કરતા વધુ હોય પરંતુ હિંદુઓમાં જ્ઞાતિવાદી રહસ્યમયી માળખાના પરિણામે કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્યારેય આખા હિંદુ સમુદાયને ખેંચવાનો પ્રયત્ન કર્યો નથી. હા જાતિવાદી રાજનીતિ જરૂર ધમધોકાર ચાલે છે. હિંદુઓની સરખામણીએ મુસ્લિમોને પોતાની તરફ લાવવામાં વધુ મુશ્કેલી નથી. કદાચ એટલે જ હરહમેંશની માફક આ વખતની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષોએ મુસ્લિમો માટે અવનવા વાયદા અને જાહેરાતો કરી દીધી છે. હા એ વાત અલગ છે કે આ જાહેરાતો વાસ્તવિકતામાં પરિણમતા દાયકાઓ વીતી જશે. પહેલા એ જોઈએ કે કયા રાજ્યની સરકારે મુસ્લિમો માટે કેવી યોજનાઓ અને કેટલા નાણાં ખર્ચ્યા.
પશ્ચિમ બંગાળ
મમતા દીદીના બંગાળમાં રાજ્યના ઈમામોને રૂ. 2500થી રૂ.30 હજાર રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવે છે. જયારે નમાઝ વખતે બાંગ પોકારનારા મુએઝિનને 1500 રૂપિયાનું માસિક વેતન મળે છે.
ઉત્તર પ્રદેશ
અખિલેશ સરકારની વિકાસ અને કલ્યાણ યોજનાઓમાં મુસ્લિમોને 20 ટકા અનામત રાખવામાં આવ્યા છે. મુસ્લિમ કબ્રસ્તાનની સારસંભાળ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
બિહાર
નીતીશ કુમારે લઘુમતીઓની વસ્તીવાળા 75 તાલુકા અને 8 નાના શહેરોના વિકાસ માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે..ઉપરાંત 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પ્રથમ શ્રેણી મેળવનારા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીને 10 હજાર રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવે છે.
આંધ્રપ્રદેશ
કોંગ્રેસ શાસિત આંધ્રપ્રદેશમાં લઘુમતી કલ્યાણ માટે 1 027 કરોડ રૂપિયાની ફાળવણી થઇ છે. જયારે નોકરીઓ અને શિક્ષણમાં લઘુમતીઓને 4 ટકા અનામતની વ્યવસ્થા કરાઈ છે.
કર્ણાટક
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં લઘુમતી કલ્યાણ માટે 1 043 કરોડ રૂપિયાની ફાળવણી થઇ છે.
દિલ્હી
દિલ્હીમાં વક્ફ બોર્ડના માન્યતા પ્રાપ્ત ઈમામોને 10 હજાર રૂપિયા અને મુએઝિનને 9 હજાર રૂપિયાનો માસિક પગાર અપાય છે.
તમિલનાડુ
જયલલિતાના રાજ્ય તમિલનાડુમાં લઘુમતી કલ્યાણ માટે 60.39 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.
રાજસ્થાન
રાજસ્થાન સરકારે લઘુમતીઓને લોન આપવામાં 15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
મધ્ય પ્રદેશ
શિવરાજસિંહ ચૌહાણની સરકારે રાજ્ય દ્વારા ચાલતી યોજનામાં 1496 મુસ્લિમ યુગલોના એપ્રિલ-2012 સુધીમાં નિકાહ કરવામાં આવ્યા છે. જયારે બે લાખ જેટલા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને માસિક શિષ્યવૃતિ આપવામાં આવી..