દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે, જેનો કેન્દ્રની મોદી સરકારને પણ અહેસાસ છે, પરંતુ હજુ સુધી તેમના તરફથી રાહત આપતા કોઈ પણ પગલાંની જાહેરાત કરવામાં આવી નથી.
ચાર રાજ્યોએ ભાવ ઘટાડાની જાહેરાત કરી
અમુક રાજ્યોમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે
મોદી સરકાર ભાવમાં ઘટાડા માટે એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો નથી કરતી
દેશની સામાન્ય જનતા છેલ્લા અમુક સમયથી રોજ વધી રહેલી ઓઇલની કિંમતોથી ત્રાહિમામ પોકારી ગઈ છે, જ્યાં એક બાજુ વિપક્ષ સતત મોદી સરકાર પર આ મામલે માછલાં ધોઈ રહ્યું છે, અને સરકાર પર તેની એકસાઇઝ ડ્યુટી ઘટાડવાને લઈને દબાણ વધી રહ્યું છે, ત્યારે દેશના 4 રાજ્યોએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સામાન્ય પ્રજાને રાહત આપવાની જાહેરાત કરી છે.
જે રાજ્યોએ ઘટાડાની જાહેરાત કરી તેમાંથી અમુકમાં ચૂંટણી છે
મહત્વનું છે કે જે રાજ્યોએ આવા પગલાંની જાહેરાત કરી છે, તેમાંથી અમુક રાજ્યોમાં આગામી દિવસોમાં ચૂંટણી પણ થવા જઈ રહી છે, ત્યારે ત્યાંની સરકારો લોકોને ખુશ કરવા માટે એક પણ તક છોડવા માંગતી નથી.
નોંધનીય છે કે આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ,આસામ, મેઘાલય અને રાજસ્થાનમાં આ કિંમતોમાં રાહત આપવામાં આવી છે, નોંધનીય છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રોજ વધ ઘટ થાય છે કેમ કે આપણે ત્યાં બજાર આધારિત ભાવની વ્યવસ્થા છે, પરંતુ આ પેટ્રોલ - ડીઝલ ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકારો વેટ અને એકસાઇઝ ડ્યુટી થકી આવક મેળવે છે, આમ રાજ્યો તેમના વેટનો ભાગ ઘટાડીને રાહત આપી શકે છે.
પશ્ચિમ બંગાળ સરકારે વેટમાં કર્યો ઘટાડો
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી સરકારે વેટમાં એક રૂપિયાના ઘટાડાનો નિર્ણય લીધો છે, અહીં એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, ભાજપ શાસિત આસામમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, અહીંની સરકારે ગત વર્ષે પેટ્રોલ-ડીઝલ પર કોરોના સંકટ દરમિયાન લગાવાયેલ પાંચ રૂપિયાના એડિશનલ ટેક્સને હટાવી દીધો છે.
મેઘાલયની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે ગ્રાહકોને પેટ્રોલની કિંમતોમાં 7.40 અને ડીઝલ પર 7.10 રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમાં પ્રથમ લિટર દીઠ રૂ .2 નો ઘટાડો કરાયો હતો, તે પછી પેટ્રોલ પરનો વેટ પણ 31.62% થી ઘટાડીને 20% અને ડીઝલ પર 22.95% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોના સંકટના સમયમાં આ વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો હતો.
શું કહેવું છે કેન્દ્ર સરકારનું?
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આ કિંમતોમાં વધારાના બે મુખ્ય કારણો છે. પહેલું એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનું ઉત્પાદન ઘટી ગયું છે. તેલ ઉત્પાદક દેશો મહત્તમ નફો મેળવવા ઓઇલનું ઉત્પાદન ઘટાડતા હોય છે. આને કારણે ક્રૂડનો વપરાશ કરનારા દેશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં તેમણે કહ્યું કે અમે સતત ઓપેક અને ઓપેક પ્લસ દેશોને વિનંતી કરી રહ્યા છીએ કે આવું ન થવું જોઈએ. આશા છે કે તેમાં બદલાવ આવશે.'
પેટ્રોલિયમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ' આ મામલે બીજું મહત્વનું કારણ કોરોના વાયરસ રોગચાળો છે. અમારે ઘણા વિકાસ કામો કરવાના છે. આ માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ટેક્સ વસૂલ કરવો પડશે જેથી વધુને વધુ વિકાસના કામોમાં ખર્ચ કરી શકાય અને લોકોને રોજગાર મળે. સરકારે આ રોકાણમાં વધારો કર્યો છે અને આ બજેટમાં 34 ટકા વધુ ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.'
નાણાંમંત્રી કોઈ સમાધાન શોધશે : પેટ્રોલિયમ પ્રધાન
આ સિવાય વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે "રાજ્ય સરકારો પણ તેમના ખર્ચમાં વધારો કરી રહી છે, તેથી આપણને ટેક્સની જરૂર છે, પરંતુ સંતુલન પણ જાળવવું જોઈએ. મને વિશ્વાસ છે કે નાણા પ્રધાન કોઈ રસ્તો કાઢશે."