સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની અટકળો ફગાવી દેતાં કહ્યું કે તેઓ સક્રિય રાજનીતિમાં ચાલુ રહેશે.
કોંગ્રેસ અધિવેશનમાં સોનિયા ગાંધીએ આપ્યાં હતા પાર્ટી છોડવાના સંકેત
પાર્ટીના છોડવાના સંકેતના એક દિવસ બાદ મારી પલટી
કહ્યું હું રાજનીતિ છોડવાની નથી
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પણ કરી પુષ્ટિ
છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના 85મા અધિવેશનમાં ગઈ કાલના સોનિયા ગાંધીના ભાષણ બાદ રાજકારણમાંથી તેમના સંન્યાસને લઈને અટકળો શરૂ થઈ ગઈ. હવે આ અટકળોને સોનિયા ગાંધીએ ફગાવી દીધી છે. કોંગ્રેસ પ્રવક્તા અલકા લાંબાએ રવિવારે સોનિયા ગાંધીને ટાંકીને કહ્યું હતું કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ક્યારેય નિવૃત્ત થવાના નથી.
અલકા લાંબાએ સોનિયાને નામે કર્યો ખુલાસો
પાર્ટી સંમેલનના સમાપનમાં અલકા લાંબાએ કહ્યું કે, મીડિયાએ મેડમના ભાષણનું ખોટું અર્થઘટન કરવાનું બંધ કરવું જોઈએ. જ્યારે મેં તેમને આ અહેવાલો વિશે જણાવ્યું, ત્યારે તેઓ હસી પડ્યા અને કહ્યું કે હું ક્યારેય નિવૃત્ત થવાની નથી. લાંબાએ મીડિયાને પણ વિનંતી કરી હતી કે તેઓ સોનિયા ગાંધીના ભાષણમાંથી આવો અર્થ ન કાઢે. આ પહેલા કોંગ્રેસ નેતા કુમારી સેલજાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીનો મતલબ છે કે તેમનો અધ્યક્ષ પદનો કાર્યકાળ પૂરો થવાનો છે. તેમણે રાજકારણમાંથી સંન્યાસ લીધો ન હતો.
સોનિયા ગાંધીએ શું કહ્યું હતું?
કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ પાર્ટી પ્રમુખ તરીકેના પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા શનિવારે રાયપુરમાં પાર્ટીના 85માં પૂર્ણ અધિવેશનમાં કહ્યું હતું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારત જોડો યાત્રા સાથે તેમની ઈનિંગનો અંત હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમના આ નિવેદનને રાજનીતિમાંથી સંન્યાસ લેતા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જેને કોંગ્રેસે પણ નકારી કાઢ્યું છે.
52 વર્ષે મારી પાસે ઘર નથી- રાહુલ
પાર્ટીના 85મા અધિવેશનને સંબોધતા રાહુલે કહ્યું કે આ વાતને આજે 52 વર્ષ થઈ ગયાં છે, મારી પાસે ઘર નથી અને આ પરિવાર પાસે જે ઘર છે તે અલ્હાબાદમાં છે. એ પણ ઘર નથી. 120 તુગલક લેન મારું ઘર નથી. જ્યારે હું ભારત જોડો યાત્રાએ ગયો હતો, ત્યારે મેં વિચાર્યું કે મારી જવાબદારી શું છે? મેં કહ્યું કે મારા પડખે અને પાછળ ખાલી જગ્યા છે, જેમાં મળવા માટે ભારતથી લોકો આવશે. અમારું તે ઘર આવતા ચાર મહિના સુધી અમારી સાથે ચાલશે. આ ઘરમાં જે કોઈ આવે, શ્રીમંત હોય કે ગરીબ, વૃદ્ધ, યુવાન હોય કે બાળક, કોઈ પણ ધર્મ અને રાજ્યનું પ્રાણી હોય, તેને એવું લાગવું જોઈએ કે હું આજે મારા ઘરે આવ્યો છું.