રેલવેમાં મુસાફરી કરતા દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે તેમની સફર સુગમ અને સુરક્ષિત રહે, પરંતુ કેટલીક વખત મુસાફરી દરમિયાન એવી કોઈ ઘટના બની જાય છે, જ્યારે કોઈ મદદની જરૂર પડતી હોય છે. ઈમર્જન્સી વખતે સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે આમ તો તમામ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવે છે.
રેલવેમાં પણ આ પ્રકારના 36 મહત્વપૂર્ણ નંબરોની લાંબી યાદી આપવામાં આવે છે. કેટલીક વખત મુસાફરને એ સમજાતું નથી કે હેલ્પલાઈનના ક્યા નંબર પર ફોન કરીને મદદ માગવી જોઈએ. કેટલીક વખત સાચો નંબર શોધવામાં જ સમય પસાર થઈ જાય છે અને મદદ મળી શકતી નથી.
હવે રેલવે હેલ્પલાઈન નંબરોની આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે અસલી 'રેલ મદદ' ઉપલબ્ધ કરાવવામાં આવશે. 'રેલ મદદ' એક પ્રકારની વેબસાઈટ હશે અને તેની મોબાઈલ એપ પણ બહુ જલ્દી લૉન્ચ કરવામાં આવશે. હાલ 'રેલ મદદ' ની ટ્રાયલ ચાલી રહી છે અને એક વખત તે શરૂ થઈ જાય પછી 139 સિવાયના રેલવેના તમામ હેલ્પલાઈન નંબર બંધ કરી દેવામાં આવશે.
'રેલ મદદ' એપનું ટ્રાયલ વર્ઝન એટલે કે બીટા વર્ઝન ગત સપ્તાહે જ લૉન્ચ કરવામાં આવ્યું છે. પ્લે સ્ટોર પરથી તેની એપ ડાઉનલૉડ કરી શકાય છે. 'રેલ મદદ' એપમાં દરેક પ્રકારની ફરિયાદ માટે અલગ અલગ આઈકોન આપવામાં આવ્યા છે. ટ્રેનની અંદરની કોઈ ફરિયાદ, સ્ટેશન પર કોઈ પરેશાની થાય તો સ્ટેશન કમ્પ્લેન જેવા અલગ અલગ ઑપ્શન પણ આ એપમાં આપવામાં આવ્યા છે.
નોર્થ રેલવેના મુરાદાબાદ સર્કલના એડીઆરએમ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાયલ સફળ થયા બાદ તુરંત જ રેલવે 'રેલ મદદ' વેબસાઈટ અને મોબાઈલ એપનું ફાઈનલ વર્ઝન અધિકૃત રીતે લૉન્ચ કરશે. તેનાથી તમામ હેલ્પલાઈન નંબરના સ્થાને 'રેલ મદદ' નો ઉપયોગ મુસાફરો કરી શકશે. ફક્ત એક જ હેલ્પલાઈન નંબર 139 ચાલુ રાખવામાં આવશે.
બીટા વર્ઝન સફળ થયા બાદ એપને વ્યાપક સ્તર પર લૉન્ચ કરવામાં આવશે. સરકારના જન સુનાવણી પૉર્ટલની જેમ જ 'રેલ મદદ' એપમાં પણ તમારી ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી કે તમારી ફરિયાદ ક્યાં સુધી પહોંચી તેની તમામ વિગતો તમે આસાનીથી જાણી શકશો. આ માટે 'રેલ મદદ' એપમાં 'ટ્રેક યોર કમ્પ્લેન' નો પણ ઑપ્શન આપવામાં આવ્યો છે.