કેન્દ્રમાં ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધના ખેડુતોના આંદોલનને સમાપ્ત કરવા માટે ઔપચારિક વાટાઘાટોને લઈને સતત ગતિવિધિ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર આ મુદ્દાને હલ કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો સાથે અનૌપચારિક ચર્ચા કરી રહી છે. પરંતુ ખેડુતોના નામે રાજનીતિ કરતા લોકો" સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.
મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંત પહેલા કોઈ સમાધાન મળી જશે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ખેડૂત સમુદાયની તમામ ચિંતાઓને દૂર કરવા કટિબદ્ધ છે. તેમણે વિરોધી પક્ષોને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે દોષી ઠેરવ્યા હતા અને કાયદાના સુધારની પ્રક્રિયા અંગે પોતાનું વલણ બદલવાનો અને મુદ્દાને રાજકીય રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો.
ત્રણ મંત્રીઓ 40 જેટલા ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા છે
તોમર, ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ સાથે મળીને 40 જેટલા ખેડૂત સંગઠનો સાથે વાતચીતમાં કેન્દ્રનું નેતૃત્વ કરી રહ્યા છે. તોમરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ત્રણેય નવા કૃષિ કાયદાઓ ખેડૂતો માટે ફાયદાકારક છે અને આ કાયદાઓથી લઘુતમ ટેકાના ભાવ (MSP) અને મંડી સિસ્ટમ ચાલુ રહેશે તેવું લેખિતમાં ખાતરી આપવા સરકાર તૈયાર છે.
હજારો ખેડુતો દિલ્હીની સરહદે ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરે છે
પંજાબ અને હરિયાણાના હજારો ખેડુતો દિલ્હીની સરહદે ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ મડાગાંઠને દૂર કરવા ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને 40 ખેડૂત સંગઠનો વચ્ચે ઓછામાં ઓછી પાંચ તબક્કાની ઔપચારિક વાતો થઈ છે, પરંતુ ખેડૂત સંગઠનો આ કાયદાઓને સંપૂર્ણ રદ કરવાની માંગ કરી રહ્યા છે. આગળના માર્ગ વિશેના પ્રશ્નના જવાબમાં તોમરે કહ્યું, "અમે ખેડૂત સંઘો સાથે સતત ચર્ચામાં છીએ. એકંદરે, અમારો પ્રયાસ તેમની સાથે સંવાદ દ્વારા સમાધાન સુધી પહોંચવાનો છે. અમે હજી વાટાઘાટો માટે તૈયાર છીએ.
સરકાર સર્વોચ્ચ અદાલતના આદેશની રાહ જોશે
તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે સંવાદ દ્વારા આપણે કોઈ સમાધાન સુધી પહોંચવા તરફ આગળ વધી શકીએ છીએ. તેમણે કહ્યું કે અનૌપચારિક સંવાદ ચાલે છે. હું આશા રાખું છું કે કોઈ રસ્તો નીકળશે. શું સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી વાટાઘાટો કરશે અને કોઈ નિરાકરણ લાવશે કે સરકારના પ્રયત્નો ચાલુ રહેશે તેમ પૂછવામાં આવતા તોમરે કહ્યું હતું કે સરકારે ખેડૂત નેતાઓ સાથે સંવાદ માટે તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે અને આગળ આ પગલા માટે તે સર્વોચ્ચ અદાલતના આદેશની રાહ જોશે.
ખેડૂત સંગઠનો કાયદાઓ સંપૂર્ણ રદ કરવાનો આગ્રહ ન રાખે
તેમણે કહ્યું, "આ વિષય ન્યાયાલયના વિચારાધીન છે." કોર્ટના આદેશ પછી, અમે તેનો અભ્યાસ કરીશું અને નિર્ણય લઈશુ. અમે કોર્ટની દિશાની રાહ જોશું. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોની ચિંતા કરનારા ખેડૂત સંઘોએ ખેડૂત સમુદાયની સમસ્યાઓ ઉઠાવવી જોઈએ જેથી સરકાર કોઈ સમાધાન શોધી શકે. તે જ સમયે, તેમણે ખેડૂત સંગઠનોને આ કાયદાઓને રદ કરવા અથવા પાછી ખેંચવાનો આગ્રહ ન રાખવા જણાવ્યું હતું, જેનું અમલીકરણ ખેડૂતોના હિત માટે કરવામાં આવ્યું છે.