કૉર્પોરેટ સેક્ટર તરફથી કોરોના સંકટને પગલે આવેલી મંદીનો સામનો કરવા માટે મોટા પેકેજની માંગને લઇને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે કોઇપણ મોટા કોરોના સંકટ પેકેજની આશા ન રાખવી જોઇએ. તેઓએ કહ્યું કે ગ્રોથમાં વધારો કરવા માટે જલ્દી જ પેકેજ જારી કરવામાં આવશે, પરંતુ અન્ય દેશો સાથે તેની તુલના ન કરવી જોઇએ.
નાણાકીય વર્ષ 2020-21માં દેશની જીડીપી ગ્રોથ 2 ટકાની નજીક રહેશે : મુખ્ય આર્થિક સલાહકાર
વર્ષ 2020-21માં IMFએ પણ ભારતની ગ્રોથ 1.9 ટકા સુધી રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું
દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે કહ્યું કે અમે કોઇ બીજા દેશની તુલના કરતા પેકેજની માંગ ન કરી શકીએ. તેઓએ કહ્યું કે તેની આપણે મોટી કિંમત ચૂકવવી પડશે. આટલુ જ નહીં ભારત સરકાર તરફથી પહેલીવાર કોરોના સંકટ વચ્ચે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથને લઇને અનુમાન દર્શાવાયું છે.
સુબ્રમણ્યમે કહ્યું કે પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ નેગેટિવ હોઇ શકે છે. જોકે, નાણાકીય વર્ષ 2020-21માં દેશની જીડીપી ગ્રોથ 2 ટકાની નજીક હોઇ શકે છે. થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) એ પણ ભારતની ગ્રોથ 1.9 ટકા સુધી રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.
કેવી સુબ્રમણ્યમે ઇકોનોમિક ટાઇમ્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, કોઇએ પણ અર્થવ્યવસ્થામાં એ વાત પહેલા સમજી લેવી જોઇએ કે અહીં કોઇ મફતની વ્યવસ્થા નથી. તેઓએ આગળ કહ્યું કે જો આપણે રાજકોષિય ખાધ વધારવાની તરફ આગળ વધીએ છીએ તો અર્થવ્યવસ્થાના બેસિક્સ પર તેની વિપરીત અસર પડશે.
તેઓએ કહ્યું કે બીજા દેશોની તુલના કરતા કોઇપણ પ્રકારના પેકેજની વાત કરવી અપ્રમાણિકતા છે. આટલુ જ નહીં સુબ્રમણ્યમે 1918માં ફેલાયેલી સ્પેનિશ ફ્લૂ મહામારીનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યારે પણ અર્થવ્યવસ્થાએ જાતે ગ્રોથ બતાવી હતી. ત્યારે ઇકોનોમીમાં વી-શેપ ગ્રોથ જોવા મળી હતી અને આ વખતે પણ આ વખતે પણ આપણે આ આશા રાખી રહ્યા છીએ.
નોંધનીય છે કે દેશમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે જારી દેશવ્યાપી લૉકડાઉનને 17 મે સુધી વધારવામાં આવ્યું છે. દેશના આર્થિક સલાહકારે એ સ્વીકાર્યું છે કે પહેલા ત્રિમાસીક ગાળામાં ગ્રોથમાં મોટો ઘટાડો જોવા મળશે. પરંતુ ત્યારબાદ તેજી જોવા મળશે. પહેલો ત્રિમાસીક ગાળો મોટા ઘટાડાથી પસાર થશે. બીજા ત્રિમાસિક ગાળામાં ધીરે-ધીરે સુધાર થશે અને ત્રીજા અને ચોથા ત્રિમાસીક ગાળામાં ગ્રોથ થવાની શક્યતા છે.