મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલાઓ સતત વધી રહ્યા છે. હાલ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 1078 થઇ ગઇ છે. કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકો માટે 5 ગાઇડલાઇન જાહેર કરવામાં આવી જેમાં માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનું જણાવાયું છે. જેથી કોરોના વાયરસ વધુ ન ફેલાય. જો કે, આ સુચનાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને તેની ધરપકડ પણ થઇ શકે છે.
કોરોના સામે લડાઈમાં મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
મુંબઈમાં માસ્ક પહેરવાનુ ફરજિયાત કરાયુ
જો માસ્ક નહી પહેર્યુ તો થશે ધરપકડ
ગ્રેટર મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ આ એડવાઇઝરી જાહેર કરી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં આપણે બધાની જવાબદારી છે કે, નિયમોનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટેનસિંગનું ધ્યાન રાખવામાં આવે. આ માટે એપિડેમિક ડિસીજ અધિનિયમ 1897 ના નિયમ નંબર 10 હેઠળ કેટલીક સૂચનાઓ આપવામાં આવી રહી છે.
શું છે 5 એડવાઇઝરી
1, જો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ હેતુ અથવા કારણોસર કોઈ જાહેર સ્થળે જેમ કે હોસ્પિટલ, ઓફિસ, બજાર અથવા રસ્તા પર જાય છે, તો ચોક્કસપણે માસ્ક પહેરે. માસ્ક 3 પ્લાય અથવા કાપડ હોવું જોઇએ. માસ્ક પહેરવું ફરજિયાત છે.
2, જો કોઈ ઓફિસની કારમાં અથવા તેના અંગત વાહનમાં મુસાફરી કરી રહ્યું હોય, તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.
3,જો કોઈ વ્યક્તિ કોઈ સાઇટ / ઓફિસ / અન્ય કોઈ જગ્યાએ કામ કરે છે, તો પણ તેને હંમેશાં માસ્ક પહેરી રાખવું ફરજીયાત છે.
4, માસ્ક પહેર્યા વગર કોઇ વ્યક્તિ ન તો કોઇ મીટિંગ અટેન્ડ કરી શકશે કે પછી તે આવી જગ્યાએ જઇ શકશે.
5, આ માસ્ક સ્ટાન્ડર્ડ માસ્ક છે અને તે દવાની દુકાનમાં મળશે. પરંતુ, જો આ ઉપલબ્ધ ન હોય તો, પછી તમે ઘરે માસ્ક બનાવીને પહેરી શકો છો. હોમમેઇડ માસ્ક ધોઇ શકાય છે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિવાસસ્થાનવાળો વિસ્તાર કરાયો છે સીલ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના નિવાસસ્થાન માતોશ્રી નજીક ચા વેચતા શખ્સને કોરોના પોઝિટિવ આવતા માતોશ્રીવાળા વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ શખ્સને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં 30 હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે જ તૈયાર કરાઇ
સરકારે કેન્દ્ર સરકારની સલાહને ધ્યાને લઇને રાજ્યમાં 30 હોસ્પિટલને ખાસ કરીને કોરોના વાયરસના દર્દીઓના ઇલાજ માટે તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આ દવાખાનાઓમાં 2305 પથારીની વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રનો
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના 47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે.