ઇંગ્લેન્ડની વિરુદ્ઘ ત્રીજી અને અંતિમ વનડેમાં હાર પછી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કંઇક એવું કર્યુ કે જેના કરાણે તેના ફેન્સની વચ્ચે તેના સંન્યાસની અટકળો ચાલવા લાગી. ધોનીના સંન્યાસ પર ચર્ચા શરુ થઈ ગઈ. આ વાતની ગંભીરતાને જોઈને અને અટકળોનો અંત લાવવા માટે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે.
રવિ શાસ્ત્રીએ ધોનીના સંન્યાસ અંગે વાત કરતા કહ્યુ કે ધોનીએ બોલિંગના કોચ ભારત અરુણને બતાવવા માચે અમ્પાયર પાસેથી બૉલ લીધો હતો. તે કોચને બૉલ બતાવવા માંગતા હતા જેથી તેમને આઈડિયા મળી શકે કે તેની કન્ડિશન શું છે? અને આ પ્રકારના બોલથી કઈ રીતે રમવું જોઈએ.
એક ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ ધોનીના સંન્યાસની ચર્ચા કરાનારી ઝાટકણી કરતા કહ્યુ કે ''આ બકવાસ છે ધોની ક્યાંય નથી જઇ રહ્યો.''તો બીજી તરફ ધોનીની નજીકના વ્યકિતઓએ પણ ધોનીની સંન્યાસથી ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે નિર્ણાયક વનડે મેચમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને 8 વિકેટથી હરાવીને સીરિઝ પોતાના નામે કરી દીધી હતી. સીરિઝમાં ટીમ ઇન્ડિયાની હાર સાથે સાથે સોશ્યલ મીડિયા પર ધોનીના સંન્યાસની ચર્ચા થઇ રહી છે. વાસ્તવમાં મેચ પૂરી થયા પછી એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં ધોની અમ્પાયર પાસેથી ક્રિકેટનો બૉલ લઇ રહ્યો છે.
વીડિયોની સાથે લોકો તેના સંન્યાસની અટકળો એટલા માટે લગાવી રહ્યા છે કેમકે ટેસ્ટ ક્રિકેટમાં પણ સંન્યાસ લેતા સમયે ધોની કંઇક આવું જ કરી ચૂક્યો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તે વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી જેમાં ધોનીએ મેચ પછી સ્ટંપ ઉખાડીને પોતાની સાથે લઇ ગયો હતો એવામાં તેણે અમ્પાયર પાસેથી બૉલ માંગતા લોકોએ અટકળો શરૂ કરી દીધી છે.