પતિ-પત્નીના ઝઘડામાં બાળકોનું ભવિષ્ય હંમેશાં બગડતું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પિયરમાં રિસાઇને બેઠેલી માતાએ સાડા ચાર વર્ષના પુત્રનું અપહરણ કરીને ભાગવાની કોશિશ કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પુત્રની કસ્ટડી લેવા માટે કાયદાકીય લડત હારી ગયા બાદ માતાએ તેને બળજબરીથી લઇ મહારાષ્ટ્રના સોલાપુર લઇ જવાનો પ્લાન બનાવ્યો હતો. પિતા પુત્રને લઇ ઘરે જતા હતા ત્યારે માતાએ કેટલાક લોકોની મદદથી પુત્રને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી તમામની અટકાયત કરી છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલ શિલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા અને મણિનગર ખાતે આવેલ રાજ પેલેસ હોટલમાં નોકરી કરતા અભિજિત રમેશચંદ્ર રાજે નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની અને સાસરી પક્ષના લોકો વિરુદ્ધમાં કાવતરું ઘડીને અપહરણ કરવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે અભિજિત તેમનાં માતા-પિતા અને સાડા ચાર વર્ષના પુત્ર રણબીર સાથે રહે છે.
નમ્રતા અને અભિજિતના લગ્ન રિતરિવાજ મુજબ થયા હતા
તા. 29 એપ્રિલ, 2013ના રોજ અભિજિતનાં લગ્ન મહારાષ્ટ્રના સોલાપુરમાં રહેતી નમ્રતા સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયાં હતાં. અભિજિત અને નમ્રતાને એક પુત્ર રણબીર છે, જે હાલ તેના પિતા સાથે રહે છે. વર્ષ 2017માં નમ્રતાના પિતાને બોન કેન્સર હોવાથી તેમની સારવાર માટે તે પિયર ગઇ હતી. ગત વર્ષે નમ્રતા પરત સાસરીમાં આવી હતી તે સમયે રણબીરનું શાહીબાગની સાંદીપિન સ્કૂલમાં એડિમશન લીધું હતું. તા.29 જાન્યુઆરી, 2019ના રોજ નમ્રતા ફરીથી તેના પુત્રને લઇ પિયર ગઇ હતી.
રણબીરનો અભ્યાસ બગડતો હોવાથી કસ્ટડી દાદી પાસે હતી
માર્ચ-2019માં નમ્રતાએ અભિજિતને ફોન કરીને કહ્યું હતું કે મારે તમારી સાથે રહેવું નથી. નમ્રતા પરત નહીં આવતાં અભિજિતે ઇન્કમટેક્સ ખાતે આવેલી સિવિલ કોર્ટમાં કોન્જુઅલ રાઇટ્સની અરજી કરી હતી. અભિજિતનાં માતા-પિતા રિસાઇને બેઠેલી નમ્રતાને મનાવવા માટે સોલાપુર તેના ઘરે ગયાં હતાં. રણબીરનો અભ્યાસ બગડતો હોવાથી નમ્રતાએ તેની કસ્ટડી સાસુ-સસરાને આપી દીધી હતી.
કસ્ટડી માટે સેશન્સ કોર્ટમાં ચાલે છે કેસ
અભિજિતે રણબીરનું એડમિશન નારણપુરા વિસ્તારમાં આવેલ યુરો કિડ્સ સ્કૂલમાં કરાવ્યું હતું. નમ્રતાએ રણબીરની કસ્ટડી લેવા માટે સોલાપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ સોલાપુરની સેશન્સ કોર્ટમાં કસ્ટડી લેવા માટેની અરજી કરી હતી, જેની સુનાવણી હાલ ચાલુ છે.
સ્કુલથી માતાએ બાળકને ઉઠાવ્યો
ગઇ કાલે સ્કૂલમાં શિક્ષકને મળવાનું હોવાથી અને રણબીરને લેવા માટે સાડા બાર વાગ્યાની આસપાસ અભિજિત સ્કૂલ પર ગયા હતા. અભિજિતે રણબીરને એક્ટિવા પર બેસાડ્યો હતો ત્યારે નમ્રતા અચાનક આવી ગઇ હતી અને રણબીરને ઊંચકીને ભાગી ગઇ હતી અને સામેની મહારાષ્ટ્ર પાસિંગની કારમાં બેસી ગઇ હતી. અભિજિતે પણ તરત તેની પાછળ દોડ્યો હતો અને સીધો કારમાં જઇને બેસી ગયો હતો.
પરિવારજનોએ કર્યો એટેક
કારમાં નમ્રતાનાં ભાભી સારિકા, નીલમ હતાં જ્યારે કારની બહાર શાંતનુ તથા સાજિદ ઊભા હતા. નમ્રતાનાં ભાભી અને બન્ને શખ્સો અભિજિતને માર મારવા લાગ્યાં હતાં. બચવા માટે અભિજિત કારની બહાર આવી ગયો હતો, જેથી પાંચેય જણાંએ ભેગાં મળીને તેને જાહેર રોડ પર માર્યો હતો. અભિજિતે બચાવો-બચાવોની બૂમો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
અભિજિતે કર્યો પોલીસને ફોન
અભિજિતે તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો અને તેની માતાને પણ ફોન કરીને સ્કૂલ પર બોલાવી દીધી હતી. થોડાક સમય પછી પોલીસ તેમજ અભિજિતના સંબંધીઓ પણ સ્કૂલ પર આવી ગયા હતા. દરમિયાનમાં બે યુવકો આવી ગયા હતા અને અભિજિતને ધમકી આપતા હતા કે છોકરાને તો અમે લઇ જઇશું અને તમે વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશું. શાંતનુએ અભિજિતનાં માતાને લાત મારીને પાડી દીધાં હતાં. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે નમ્રતા, સારિકા, નીલમ, આરીફ, સાજિદ અને શાંતનુ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.