મોરબી: વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ઐતિહાસિક પેલેસમાંથી કિંમતી અનેત રજવાડી વસ્તુઓની ચોરી કરી હતી. આ મામલે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહએ રૂપિયા સાતથી આઠ લાખની ચીજવસ્તુઓ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ સહિત FSLની ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીટી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
આ ઘટના મામલે મળતી વિગત અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ અતૈહાસિક વિરાસત રણજિત વિલાસ પેલેસમાં તાજેતરમાં ચોરીની ઘટના બનવા પામી હતી. રાતના સમયે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પેલેસમાં આવેલ કાચની બારીને તોડીને મધ્યરાત્રિએ પ્રવેશ કર્યો હતો.
મોડીરાતે મહેલમાં ઘુસી આવેલ તસ્કરોએ રાજાશાહીના જમનાની ખુરશીઓ માર્બલ ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ આશરે કુલ 8 લાખની કિંમતની ચોરી કરી રવાના થયા હતા.
આ ઘટના અંગેની જાણકારી રાજવી પરિવારને થતા તેમણે તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. જેની નોંધ લઇ વાંકાનેર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ચોરનું પગેરૂ શોધવા પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઇએ કે વાંકાનેર ખાતે આવેલ રણજિલ વિલાસ પેલેસ ગુજરાતના ઐતિહાસિક વિરાસતમાં સ્થાન પામેલ છે. આ પેલેસમાં આજે પણ રાજવી પરિવાર નિવાસ કરે છે. આ મહેલમાં રજવાડા સમયની કેટલીય યાદો જોડાયેલી છે અને જાણીતી હિંદી ફિલ્મ મટરૂ કી બીજલીકી મન ડોલાનું શુટિંગ પણ આ ઐતિહાસિક વિરાસતમાં કરવામાં આવેલ છે. ત્યારે મહેલમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા તત્વોને ઝડપી લેવા સ્થાનિક પોલીસે તપાસના ઘોડા દોડતા કર્યા છે.