Morbi Jaysukh Patel News: મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જાણો મોરબી સિવિલના તબીબે તેના સ્વાસ્થ્યને લઈને શું સલાહ આપી.
જયસુખ પટેલને છાતીમાં દુખાવાની ફરિયાદ
ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયો
જેલમાં બંધ જયસુખ પટેલને સારવારમાં ખસેડાયો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલની હવા ખાઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો માલિક જયસુખ જેલની કોઠી નંબર-9માં બંધ છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. જયસુખ પટેલની સાથે 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે. જેલમાં બંધ જયસુખ પટેલ જામીન માટે સતત અરજીઓ કરી રહ્યો છે. આ વચ્ચે હવે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે.
ન્યૂરો સર્જનને બતાવવાની સિવિલના તબીબીની સલાહ
રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ વચ્ચે જયસુખ પટેલની તબિયત બગડી છે, તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે જયસુખ પટેલને ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી છે.
ગઈકાલે કોર્ટમાં યોજાઈ હતી સુનાવણી
ઝૂલતા પુલ કેસમાં ઓરેવા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલ તેમજ મેનેજર સહિત 9 આરોપીઓ જેલમાં છે અને હજુ સુધી એકેય આરોપીઓને જામીન મળ્યા નથી ત્યારે ગઈકાલે મોરબી કોર્ટમાં જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટે આગામી સુનાવણી માટે 15 એપ્રિલની નવી તારીખ આપી હતી
31મી ડિસેમ્બરે કર્યું હતું સરેન્ડર
મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદથી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તે જેલમાં બંધ છે.
કોર્ટમાં રજૂ કરાઈ હતી ચાર્જશીટ
મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું હતું.