ગુજરાતમાં હાલમાં દ્વારકા ખાતે મોરારિ બાપુ પર પબુભા દ્વારા હુમલો કરવાના પ્રત્યાઘાતો ઘેરા પડી રહ્યાં છે. હવે પબુભાના કૃત્ય સામે રાજ્યમાં સાધુ સમાજના વિરોધનો વંટોળ ઉભો થઇ રહ્યો છે. ત્યારે આજરોજ મહુવામાં વિરોધ સામે સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે મહુવા બંધના એલાનને લઇને માયાભાઇ આહિરે નિવેદન આપતાં કહ્યું કે દ્વારકામાં જે ઘટના બની તેને વખોડું છું. લોકોના મારારિ બાપુના સમર્થનને નિર્ણયને હું આવકારું છે.
મોરારિ બાપુના સમર્થનમાં માયાભાઇ આહિર
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ હતું કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્વારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે અને લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છુ. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. જો કે આ ઘટના બાદ રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના સાધુ સમાજે મોરારિબાપુનું કર્યુ સમર્થન
આ તરફ સુરતનો સાધુ સમાજ પણ મોરારિબાપુના સમર્થનમાં આવ્યો છે. ત્રિ-પાંખ સાધુ સમાજ દ્વારા મોરારિબાપુને સમર્થન આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સાધુ સમાજના આગેવાનો કલેકટર કચેરી પર પહોંચ્યા છે. સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ સાથે જ પબુભા માણેક માફી માગે તેવી પણ માગ કરવામાં આવી રહી છે.
ભાવનગરમાં મોરારીબાપુના સમર્થનમાં રેલી
મોરારી બાપુ પર થયેલી હુમલાના પ્રયાસની ઘટનાનો ચારેતરફ વિરોધ થઇ રહ્યો છે. ભાવનગરમાં ત્રિ-પાંખ સાધુ સંગઠને પણ બાપુનું સમર્થન કરતાં બાઇક રેલી યોજી હતી. પબુભા સામે ઝડપથી કાયદાકિય કાર્યવાહી કરતા માટે ત્રિ-પાંખ સામે ડેપ્યૂટી ક્લેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
ઉપલેટામાં આહીર યુવાનના આમરણાંત ઉપવાસ
દ્વારકાના મંદિરમાં મોરારિ બાપુ પર પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ઉપલેટાના આહીર યુવાને આમરણાંત ઉપવાસ કર્યા છે. મયુર સોલંકી નામનો યુવક આમરણાંત ઉપવાસ પર બેઠો છે. પબુભા આહીર સમાજ અને મોરારિ બાપુ પાસે માફી માગે તેવી માગ કરી છે. જ્યાં સુધી પબુભા માફી નહી માગે ત્યાં સુધી યુવકે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.
જોડિયા આહીર સમાજે મામલતદારને આપ્યુ આવેદનપત્ર
મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે જામનગરમાં જોડિયા આહીર સમાજના લોકોએ વિરોધ કર્યો છે. જોડિયા આહીર સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. આ હુમલાના પ્રયાસ કરનાર પબુભા સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે.
રાજ્યભરના સાધુ સંતો મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં
દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યભરના સાધુ સંતો ભાવનગરના મહુવામાં મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં છે.
પબુભાના કૃત્ય સામે વીરપુર ગામ સજ્જડ બંધ
વીરપુરમાં મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે. લોકો પ્રબુભાના કૃત્યનો વિરોધ કરી રહ્યાં છે. વિરપુરમાં પણ વેપારીઓએ આજે મોરારિ બાપુના સમર્થનમાં બંધ પાળ્યું છે.
મોરારિ બાપુ પર દ્વારકામાં થયેલા હુમલાને લઈને આજે જામનગરના આહીર સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. આ દરમિયાન આહીર સમાજના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, દ્વારકામાં પોલીસકર્મીઓની હાજરીમાં પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો. આ ઘટનામાં પોલીસ ફરિયાદી બને તેવી આહીર સમાજે માગ કરી છે. જ્યાં સુધી પબુભા સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આહીર સમાજે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રજૂઆત કરવાની સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.