મોરોરિ બાપુ હુમલા પ્રયાસ પ્રકરણમાં પબુભા સામે લોકોમાં રોષ જાગ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્યના વાણી-વર્તનને લઈને રાજ્યભરમાં બંધ પાળીને આવેદન પત્રોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અમુક રાજકીય નેતાઓએ સમાધાન કરાવવાના કરેલા પ્રયાસ બાદ પણ વિવાદનો અંત આવ્યો નથી. ત્યારે આ અંગે આજે રાજ્યના સાધુ-સંતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
સાધુ સંતોએ CM રૂપાણી સાથે કરી હતી બેઠક
મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસ અંગે કરી રજૂઆત
પૂર્વ MLA પબુભા માણેક સામે કાર્યવાહીની કરી માગ
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ અંગે ગાંધીનગરમાં સરકાર અને સાધુ સંતોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને સંતોએ સીએમ રૂપાણીને રજૂઆત કરી હતી. પબુભા માણેક, મોરારિ બાપુના વિવાદને લઈને પણ રજૂઆત કરી હતી. સાથે સાધુ-સંતોના રક્ષણ માટે કાયદો બને તેવી માંગ કરી હતી.
સાધુ સંતોના રક્ષણ માટેનો કાયદા મુદ્દે રજૂઆત
લાલિત કિશોર દાસ બાપુએ આ બેઠક બાદ કહ્યું કે, મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસ અંગે રજૂઆત કરી છે. પૂર્વ MLA પબુભા માણેક સામે કાર્યવાહીની માગ કરી છે. પબુભાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા અને સાધુ સંતોના રક્ષમ માટે કાયદો બને તેવી માંગ કરી છે. સાધુ સંતો માટે માપદંડ પણ તૈયાર થાય તેવી રજૂઆત કરાઇ છે.
શું હતો વિવાદ?
મોરારિબાપુએ રામકથા દરમિયાન ભગવાન કૃષ્ણ પરિવાર અંગે નિવેદન કર્યું હતું. મોરારિબાપુના નિવેદન બાદ વિવિધ કૃષ્ણ સમર્થકો મોરારિબાપુના વિરોધમાં આવ્યા હતા. મોરારિબાપુએ સૌ પહેલા આડકતરી રીતે માફી માગી પરંતુ કયાંય નામ ન લીધું. મોરારિબાપુ સામે વિરોધ શમ્યો નહીં. અંતે વિવાદના 12 દિવસ બાદ મોરારિબાપુએ દ્વારકાધીશ મંદિર જઈને માફી માગી હતી. આ સમયે અગ્રણીઓની હાજરીમાં પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. અગ્રણીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ મોરારિ બાપુના સમર્થકો અને સાધુ સમાજ દ્વારા પબુભા માફી માંગે તેવી માંગ કરાઇ રહી છે.