છેલ્લા 24 કલાકથી મેઘો ગુજરાતને ઘમરોળી રહ્યો છે ત્યારે રાજ્યના 206 તાલુકાઓ વરસાદથી તરબોળ થઈ ગયા છે. જેમાંથી સૌથી વધુ વીસાવદરમાં 6.5 ઈચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 116.59% નોંધાયો છે જેમાંથી 27 તાલુકામાં 10 ઈંચ થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે જ્યારે 155 તાલુકામાં 20 ઈંચ થી 40 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. 69 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના કેટલાક ભાગમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રીય છે. આગામી 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં વરસાદ થશે. તો સુરત વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસભર વરસાદી માહોલ રહી શકે છે.
ડભોઈનું ચાંદોદ પાણીમાં ગરકાવ
ડભોઈના ચાંદોદમાં આવેલો મલ્મહાર ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉત્તરો ઉત્તર વધી રહેલી જળ સપાટીને કારણે ગામમાં પાણી ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની સપાટી વધે તો ગામમાં પાણી આવવાની શક્યતા પોલીસ દ્વારા ચાંદોદ નર્મદા મંદિર પાસે બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા ગ્રામ લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપી છે.
4 થી 5 કલાક માં પાણીની સપાટી વધશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ભરૂચના રાજપારડીમાં પૂર- પોલીસ મદદે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં નર્મદા નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોમાં પૂર આવ્યું હતું. સ્થાનિક પોલીસ જવાનોએ સાહસિકતા દાખવીને પૂરના પાણીમાં ફસાયેલા 30 ગ્રામજનોને બચાવ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપારડીના પોલીસ જવાનોની પ્રશંસા કરી હતી.
સાબરમતીમાં પણ પાણીની આવક
અમદાવાદમાં પણ વરસાદ પડતા વાસણા બેરેજના દરવાજા ખોલાયા હતા. ગત મોડીરાત્રે પણ 5 દરવાજા ખોલાયા હતા. સાબરમતી નદીમાં પાણી ની આવક વધતા દરવાજા ખોલવા પડ્યા હતા. નર્મદા કેનાલમાંહાલ 746 કયુસેક પાણી છોડાયું છે.