કાલોલ સરકારી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા યોજવામાં આવેલા MLA ફતેસિંહ ચૌહાણના સત્કાર સમારોહમાં ધારાસભ્ય લાલઘુમ થઈ ગયા હતા. કેટલીક દુકાનોમાં પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા હતા.
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ રોષે ભરાયા
ગેરરીતિ કરનારા દુકાનદારો પર રોષે ભરાયા
'સસ્તા અનાજની દુકાન અન્ય વ્યક્તિ કેમ ચલાવે છે?
ધારાસભ્યએ ચાલુ કાર્યક્રમમાં મામલતદારને ફોન કરી માંગ્યો જવાબ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપના ધારાસભ્યો આકરા પાણીએ બની રહ્યાં છે. દરેક પોતાના મતવિસ્તારમાં કામ કરવા લાગ્યા હોય તેમ જાહેરમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્યો સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે અને બેદરકારી દાખવતા અધિકારીઓને આડેહાથ લઈ રહ્યા છે. આવો જ બનાવ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળ્યો.
સત્કાર સમારંભમાં ફતેસિંહ ચૌહાણ રોષે ભરાયા
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સસ્તા અનાજના દુકાનદારો દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ લાલઘુમ થઈ ગયા હતા. કેટલીક સસ્તા અનાની દુકાનો પરવાનેદારની જગ્યા બીજા કોઈ વ્યક્તિ વહીવટ કરતાં હોવાનું અને અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાનું ધ્યાને આવતા ધારાસભ્ય ફતેસિંહ રોષે ભરાયા હતા.
ગેરરીતિની તપાસ કરવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરી
ધારાસભ્યએ ચાલુ કાર્યક્રમે જ આવા દુકાનદારોનો ઉધડો લઈ લીધો હતો અને ગરીબોને પૂરું અનાજ વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ચાલુ કાર્યક્રમ દરમિયાન મામલતદારને ફોન કરી જવાબ માંગ્યો હતો. સાથે જ ધારાસભ્યએ ગેરરીતિની તપાસ કરવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી.
જેમના નામે પરવાનો છે તેઓ દુકાન ચલાવતા નથીઃ ધારાસભ્ય
આ અંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, 'એવા કે જેમના નામે પરવાનો છે તેઓ દુકાન ચલાવતા નથી, દુકાન કોઈક બીજો જ ચલાવે છે. જે અંગે જિલ્લા અધિકારીને અમે ધ્યાન દોર્યું છે. બીજુ કેટલાક દુકાનદારો દ્વારા ગરીબોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી તેવી અનેક ફરિયાદો આવી છે. તેથી અમે તમામ દુકાનદારોને ગરીબોને પૂરતું અનાજ આપવાની સૂચના આપી છે.
અગાઉ DILR કચેરીના અધિકારીઓને ઝાટક્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાલોલના MLA ફતેસિંહે DILR કચેરીના અધિકારીઓને ઝાટક્યા હતા. DILR કચેરીના અધિકારીઓની આડોડાઈની અનેક ફરિયાદ આવતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહને અધિકારીઓને સૂચના આપીને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કહ્યું હતું. તેમજ કચેરીમાં આવનાર અરજદાર સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.