ગત રાતે જમ્યા બાદ બાળક ભાગી ગયું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જે બાદ પોલીસે સધન તપાસ શરૂ કરી હતી
અમદાવાદમાં બાળક ગુમ થવાનો મામલો
બાળક કાગડાપીઠથી મળી આવ્યું
સ્વામિનારાયણ સંસ્થામાંથી થયું હતું ગુમ
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી સંસ્થામાંથી સાત વર્ષનું બાળક ભાગી જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી. કાલે 8:30 વાગ્યે બાળક ભોજન લીધા બાદ જાતે જ રફુચક્કર થઈ ગયો હતો. જે બાદ ભારે શોધખોળ પછી આજે કાગડાપીઠ વિસ્તારમાંથી બાળક મળી આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.પોલીસે બાળકની પૂછપરછ હાથધરી છે.
અનાથ બાળકોને આશ્રય અપાય છે
કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં બાળકનાં અપહરણની ફરિયાદ કરી હતી. ઇશ્વરભાઇ પટેલ સ્વામિનારાયણ મંદિરમાં કેશિયર તરીકેની ફરજ બજાવે છે. મંદિરમાં આંગન નામની સંસ્થા ચાલે છે. જેમાં ૧૮ વર્ષ સુધીનાં અનાથ બાળકોને રાખવામાં આવે છે.
ગતરાત્રે શું થયું હતું?
તારીખ ૨૫ મેના રોજ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોએ સાત વર્ષના સાહિલ નાસીરભાઇ નામના બાળકને આંગન સંસ્થામાં મુક્યું હતું. સાહિલ બિનવારસી હાલતમાં વાસણા વિસ્તારમાંથી મળી આવતાં તેને સંસ્થામાં મૂકવામાં આવ્યો હતો. ગઇ કાલે મંદિરમાં જમ્યા બાદ સાહિલ જાતે જ ભાગી ગયો હતો. જેને લઇને કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કેશિયરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.જે બાદ આજે બાળક કાગડાપીઠ વિસ્તારમાંથી મળી આવ્યું.
પોલીસેને કેવી રીતે બાળક શોધી કાઢ્યું
કાલુપુર પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.ચુડાસમાએ જણાવ્યું છે કે બાળક જાતે જ મંદિરના સંકુલમાંથી ભાગી ગયું હતું. જેથી તેનું અપહરણ થયું હોય તેવું કહી શકાય નહીં. મંદિરના સીસીટીવી ફૂટેજમાં બાળક ભાગતું હોવાનું સામે આવ્યું હતું. હાલ સીસીટીવી ફૂટેજના આધારે બાળક ક્યાં ગયું છે તે શોધવા માટે તજવીજ શરૂ કરાઈ હતી. જે બાદ આજે કાગડાપીઠ વિસ્તારમાં બાળક હોવાની ટીપ મળતા પોલીસે ત્યાં જઈ બાળકનો કબજો લીધો હતો.