મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીના જન્મદિવસ તા.રપમી ડિસેમ્બર સુશાસન દિવસથી રાજ્યભરમાં શરૂ થયેલા ‘સુશાસન સપ્તાહ’નું સમાપન રાજકોટમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના અનેકવિધ જનહિત કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હતથી કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને ત્યારે ‘ગુડ ગવર્નન્સ -અન ટુ ધી લાસ્ટ’ સાકાર થાય છે અને ગુજરાતે આ વાત ચરિતાર્થ કરી છે. ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ તા.25મી ડિસેમ્બરના રોજ સમગ્ર રાષ્ટ્ર ‘’સુશાસન દિવસ’’તરીકે 2014થી શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં યોજાય છે. સુશાસનના પ્રણેતા અટલજીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે ગરીબ ઉત્થાન અને ગ્રામ વિકાસના જે કામો કર્યા હતા તેની અસર આજે પણ વર્તાય છે. કિસાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી ફ્લેગશિપ યોજનાઓ અટલજીની ભેટ છે.
મુખ્યમંત્રીનું ઉદબોધન
તેમણે જણાવ્યું હતું કે, અટલજીના ચિંધેલા એ જ રાહ પર ચાલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર આપ્યો છે. સ્વચ્છતા અભિયાન, શૌચાલય નિર્માણ, ગ્રામીણ આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવી યોજનાથી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ વિકાસને નવી દિશા ચિંધી છે. ગુજરાત સરકારે ગ્રામ વિકાસનો જે મહાયજ્ઞ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ કર્યો હતો તે આજે પણ યથાવત છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ અવસરે રાજ્યની ગ્રામીણ જનતા અને પંચાયતો માટે અમે નવા પ્રકલ્પો- લાભો લઇને આવ્યા છીએ. સુશાસન સપ્તાહના સમાપન સમારોહના એક જ દિવસમાં રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા 216 કરોડના 14,143 આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આશરે 14,680 લાભાર્થીઓને રૂપિયા 61 કરોડની આવાસ બાંધકામ સહાય તેમજ મનરેગાના 128 કરોડના 17,835 કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ મળી છે. આ સાથે, ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 25 હજાર બહેનોને 2440 સ્વ સહાય જુથો મારફતે રૂપિયા 10 કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આત્મનિર્ભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂ.227 કરોડના ખર્ચે કુલ 10,042 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આપી છે. સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો - છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવતો આજનો આ કાર્યક્રમ છે. ભૂપેન્દ્ર પટેલે રાજકોટના સૌ નાગરિકોએ કરેલા ભવ્ય અભિવાદન-સ્નેહ બદલ સૌનો ઋણ સ્વીકાર કરી રાજકોટ મહાનગરને નૂતનવર્ષ 2022ની ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી.
તેમણે રાજકોટ મહાનગરમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના 170 કામો માટે 187કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રૂ.30 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.
પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકારે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ જાહેર કર્યો તેમા ગુજરાત પ્રથમ ક્રમે છે. અર્થતંત્ર, માનવ સંસાધન, માળખાકીય સવલતો, સુરક્ષા, સામાજીક કલ્યાણ અને ન્યાય જેવા માપદંડોને આધારે ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા આગવું ગુડ ગવર્નન્સ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે. ગુજરાતનું ગુડ ગવર્નન્સનું આ મોડલ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વ્યાપક બન્યું છે.
તેમણે કહ્યું હતું કે, આધુનિક અને સુવિધાસભર ગામડાઓ ગુજરાતની ઓળખ બન્યા છે. ગુજરાતના 10 હજારથી વધુ ગામડાઓમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી થતા તમામ કામોનું આયોજન, ચુકવણી અને સમિક્ષા ‘ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ’ મારફતે ઓનલાઇન કરવામાં આવે છે. શહેરની જેમ ગામડાના લોકોને પણ બધી જ યોજના-સુવિધાઓનો લાભ ઓનલાઇન મળી રહે તે માટે ગુજરાતમાં 14હજાર થી વધુ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સેન્ટર્સ કાર્યરત કર્યા છે. ઇ-ગ્રામ સેન્ટર્સ પર ૬૦ જેટલી સેવાઓ ઓનલાઇન મળે છે જેને આપણે 200સુધી લઇ જવી છે.
ગ્રામીણ ગરીબો માટે મનરેગાના કામોનું સચોટ આયોજન ડિજીટલ ગવર્નન્સના આગવા ઉદાહરણ એવા મનરેગા કન્વર્ઝન્સ પોર્ટલનું અને નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોની ઓનલાઇન તાલીમનું ઇ-ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીએ સમરસ ગ્રામ પંચાયતને લોકશાહીની ઉત્તમ પ્રણાલી કહી છે. સામાજીક સમરસતાની સાથે ગામડાઓનું આર્થિક ઉત્થાન પણ થાય તે સરકારની નેમ છે. ગ્રામ પંચાયતોની તાજેતરની ચૂટણીમાં રાજ્યની 1183 ગ્રામ પંચાયત સમરસ થઇ છે, આમા 116 મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી બધી સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા 63 કરોડનું અનુદાન આજે આપીને આપણે આ ગામોને વિકાસ માટેનો નવો રાહ ચિંધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને પી.એમ શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાની ભેટ આપી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ રેકોર્ડ બ્રેક આવાસ બન્યા છે. ગુજરાતમાં 2 લાખ 92 હજાર ગ્રામીણ આવાસો આ યોજના હેઠળ બનાવ્યા છે. 1 લાખ 33 હજાર ગ્રામીણ આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. આજે આવા આવાસોને 14,680 લાભાર્થીઓને આવાસ બાંધકામ સહાય આપી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં સૌ પ્રથમ એવી પોર્ટેબલ હોસ્પિટલનું રાજકોટમાં લોકાર્પણ કર્યુ હતું. આ 100 બેડની હોસ્પિટલ ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન અને જિલ્લા તંત્રના સહયોગથી ઉભી કરવામાં આવેલી છે. કોરોના સંક્રમણના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે આ પ્લગ એન્ડ પ્લે હોસ્પિટલ કાર્યરત થઇ શકશે.
આ પ્રસંગે રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં સવા ચાર કરોડના ખર્ચે નિર્મિત ત્રણ નવા માઇનોર બ્રિજ અને ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સહીત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી સુવિધા વધારતા રૂપિયા 82 લાખના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ તેમણે આપી હતી.
નવલખી બંદરની માલ પરીવહન ક્ષમતામાં ૭ મિલિયન મેટ્રીક ટનનો વધારો કરતી નવી જેટીનું ભૂમિપૂજન સહીત વિકાસના અવનવા પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું હતું.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા
કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રી અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ તેમના ચિરપરિચિત અંદાજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસ નિમિતે યોજતા સુશાસન દિવસના આ પ્રસંગે આ અજાતશત્રુ અને “મરદ" વિભૂતિને ’ભારતમાતાની જય’ના બુલંદ નારાથી સહુએ વધાવી લેવી જોઈએ. આ તબક્કે ઉપસ્થિત સમૂહનો નારો ધીમો જણાતા તેમના આ વલણને વાળાએ હવાઈ ગયેલા ફટાકડાના અવાજ સાથે સરખાવ્યો હતો.
વાળાએ પૂર્વ સરકારો અને વિપક્ષ ઉપર આકરા શબ્દ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ માટે ધરણા કરવા પડતા હતા. આ કાર્યો માટે સરકારો લોન પેટે પૈસા આપતી અને તેનું વ્યાજ સાથે ચુકવણું કરવું પડતું હતું, જ્યારે ભાજપ સરકાર આવ્યા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ પેટે પૈસા અપાય છે. પ્રજાના પૈસાનો ઉપયોગ પ્રજાના કાર્ય માટે કરવાનું ભાજપ શાસિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે ગ્રામ માટે જકાત નાબૂદીના સરકારના કાર્યને યાદ કર્યું હતું.
આજે રાજકોટની જનતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કોઈ વ્યક્તિગત સ્વાગત નહિ કિન્તુ ભાજપના એક અદના સેવક અને કાર્યકર તરીકે ભવ્ય સ્વાગત કર્યું છે તેનો મને આનંદ છે. આ કોઈ ચૂંટણીલક્ષી નહિ પરંતુ રાજ્યની સરકાર પ્રજાને જોઈતી સુવિધા પૂર્ણ કરવા કૃતનિશ્ચયી છે તે સાબિત કરવા આ કાર્યક્રમ આયોજિત થયો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતુ.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુશાસન સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ રાજકોટ ખાતે આયોજિત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, દરેક પ્રજાલક્ષી સેવાઓ - યોજનાઓનો લાભ તુરંત રાજ્યના નાગરિકોને પ્રાપ્ત થાય અને પ્રજાની તમામ અપેક્ષાઓ, આકાંક્ષા અને સ્વપ્નાઓ રાજ્ય સરકાર સાકાર કરે એટલે ગુડ ગવર્નન્સ. જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. આપણા દેશને સ્વરાજ મળ્યું પરંતુ સુરાજ્ય નહોતું મળ્યું. દેશમાં સુરાજ્ય પ્રસ્થાપિત કરવાની યાત્રા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી વાજપેયીજીએ શરૂ કરી સુરાજ્યનો પાયો નાંખ્યો જેને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં પુરજોશથી આગળ ધપાવી રહ્યા છે.
રૂપાણીએ કહ્યું કે, અટલજીએ સમગ્ર દેશના જન હૃદયમાં રાજનેતા તરીકે સ્થાન મેળવ્યું છે. અગાઉ સરકારો ચાલી, પરંતુ દેશ ન ચાલ્યો. ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ ઠેર ની ઠેર રહી હતી. ગરીબ દેશ તરીકેની છાપ કલંકરૂપ હતી. જે છાપને સુશાસન થકી હટાવવામાં સફળતા મળી છે. એમાં પણ ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ તબક્કે તેમણે સત્તાને સેવાના સાધન તરીકે ઉપયોગ કરી અંત્યોદય વિકાસ માટે સરકારને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણ મંત્રી વાઘાણી
આ પ્રસંગે રાજકોટના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતું કે, રાજકોટની જનતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરી રાજય સરકારના જનતાજનાર્દનની ગુડ ગવર્નન્સ થકી જનતાની અવિરત સેવા પ્રત્યેનો વિશ્વાસ વ્યકત કર્યો છે. મંત્રીશ્રીએ રાજયમાં સુશાસન સપ્તાહ સેવાયજ્ઞમાં જનતાને મળેલા કલ્યાણ લાભોની રૂપરેખા આપી હતી. નવી સરકારે ત્રણ મહિનામાં ટુંકાગાળામાં શરૂ કરેલા જનતાની સેવા માટેના અભિયાનોની ઝાંખી આપી હતી.
પ્રકલ્પ લોકાર્પણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન, માસ્ટર કાર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલ100 બેડની પોર્ટેબલ હોસ્પિટલનો મુખ્યમંત્રી તથા આમંત્રિતોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના રૂ33.79 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 48.70 કરોડના ખાતમૂહૂર્ત મળી કુલ રૂ. 82.49 કરોડના પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતના સરપંચોને પ્રોત્સાહક ગ્રાન્ટના ચેક તેમજ પી.એમ.એ.વાય.ના લાભાર્થીઓને સહાય વિતરણ ઉપરાંત 100 ટકા વેકસિનેશન થયેલા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં યોજાયેલા સુશાસન સપ્તાહના રાજયકક્ષાના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સચિવ વિપૂલ મિત્રાએ પંચાયત વિભાગની કામગીરીનો ટૂંકો ચિતાર પ્રાસંગિક પ્રવચનમાં આપ્યો હતો. બી.વી.જી. એગ્રોટેકના અધિકારી સુભાષભાઇએ વિકાસ કમિશ્નર સંદિપકુમાર સાથે સજીવ ખેતી સાથેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમ.ઓ.યુ.) સાઇન કર્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, વહિવટી તંત્ર તથા શહેર શ્રેષ્ઠીઓએ પુષ્પહાર તથા સ્મૃતિચિન્હથી મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે એરપોર્ટ ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત વિભાગની બેસ્ટ પ્રેકટીસ અને ઇ-ગ્રામ ભારત ફાઇબર નેટવર્ક તેમજ જી.એમ.બી.ની વિકાસલક્ષી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશભક્તિ ગીતની સૂરાવલીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. ધર્મેન્દ્ર કોલેજ ખાતે આઈ.એન.એસ. વાલસુરાની નેવી બેન્ડની સુરાવલીઓ દ્વારા મુખ્યમંત્રીનુ સ્વાગત કરાયું હતું.