નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકાને લઇને ધરા ધ્રુજી હતી. આજે અનુભવાયેલા આંચકાની 1.9ની તીવ્રતા નોંધાઈ હતી.
નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા
રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ
કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું
નવસારીની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમા આજે નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ હતી. તથા કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું હતું. મહત્વનું છે કે, આશરે 20 દિવસની અંદર ભૂકંપના 3 જી આંચકા અનુભવતા નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
23 ઓગષ્ટના રોજ નવસારીના ચીખલી અને વાંસદા અનુભવાયો હતો ભૂકંપ
આશરે પાંચ દિવસ આગાઉ એટલે કે ગત તા. 23 ઓગષ્ટના રોજ નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં હળવા ભૂકંપની લોકોને અનુભૂતી થઇ હતી. જેમાં મોડી રાત્રે 12 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 29 કિમી દૂર નોંધાયુ હતું.
અગાઉ વાંસદામાં ધરા ધ્રુજી હતી
ગુજરાતમાં કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. અહીં 2001ની ઘટના બાદ તો નાના મોટા આંચકા સામાન્ય થઇ ગયા છે. તેવામાં અગાઉ પણ નવસારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નવસારીના વાંસદામાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતું. ભીનાર ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા.