પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા-પાછા લાવવા રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે
BRTSની 74 બસ રાત્રે 12 વાગ્યા અને AMTSની 91 બસ રાત્રે 1.30 વાગ્યા સુધી દોડાવાશે
IPL 2023નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને AMTSની 91 બસ રાત્રે 1.30 વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે.
અમદાવાદમાં ગુરુવારે સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જોકે આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે યોજાનાર IPL 2023ની પ્રથમ મેચને લઈ બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.
જાણો કઈ જગ્યાએથી ક્યારે મળશે બસ ?
અમદાવાદમાં IPLની પ્રથમ મેચને લઈ BRTSના એલડીથી ઝુંડાલ રૂટ પર તેમજ ઝુંડાલથી નરોડા રૂટ પર રાબેતા મુજબની 45 ઉપરાંત વધારાની 21 બસ દોડાવાશે. AMTSની રાબેતા મુજબની 10 રૂટની 66 બસ ઉપરાંત વધારાની 25 બસ દોડાવાશે. વાસણા, મણિનગર, ઓઢવ, સીટીએમ, થલતેજ સહિતના વિસ્તારમાંથી 5-5 વધારાની બસ મુકાશે.
ટિકિટની કલબાજરી રોકવા પોલીસ એક્શનમાં
મહત્વનું છે કે, IPL 2023ની આજે પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે છે. અને ખાસ તો આ મેચ અપના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. જેને લઈ હવે ટિકિટના કાળા બજાર રોકવા પોલીસ એક્શન મોડમાં છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ પરિવારના સભ્યોની સંખ્યા જેટલી જ ટિકિટ બુક કરી શકશે. જેથી ટિકિટનું કાળાબજાર નહીં કરી શકે.
જાણો આજે કયા-કયા માર્ગો રહેશે બંધ ?
આજે IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે હોઇ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડશે. આ તરફ હવે મેચના દિવસે બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જેથી જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. BRTSની 29 વધુ બસો મુકાશે સાથે જ તેના રૂટમાં વધારો કરાશે. આ તરફ સાથે મેટ્રોનો પણ સમય રાત્રિના 2.30 વાગ્યા સુધી કરી દેવાયો છે. દર 8થી 10 મિનિટે સ્ટેડિયમથી બસ મળશે.