અમદાવાદમાં 30 એપ્રિલ અને 1મેના રોજ 45 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન, ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી
ગુજરાતમાં રહેશે ગરમીનો પ્રકોપ
અમદાવાદમાં બે દિવસ રેડ અલર્ટ
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની આગાહી
રાજયમાં કાળઝાળ ગરમીથી શેકાવા માટે તૈયાર થઈ જજો કારણકે ઉત્તરપૂર્વીય પવનોને કારણે પવનની દિશા બદલાય છે અને જેથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત ગરમીનો પારો ઉચકાઈ શકે છે.
2 દિવસ રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી
આગામી ૨૪ કલાક બાદ એટલે કે આવતી કાલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર વર્તાઈ શકે છે આવતીકાલથી બે દિવસ 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના કરાઈ છે. અમદાવાદમાં બે દિવસ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. 30 એપ્રિલ અને 1મેના રોજ 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. જ્યારે કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવ તો ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે.મહત્વનું છે કે કાળઝાળ ગરમીના કારણે બપોર સમયે કારણ વગર બપોરના સમયે ઘરની બહાર નીકળવા જનતા ને અપીલ કરી છે
ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી તો સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે ગયો જ નથી. તેમાંય ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યું
ગુજરાતમાં એક તરફ અંગ દઝાડતી ગરમી લોકોની મુશ્કેલી વધારી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં દિન-પ્રતિદિન જળસંકટ વધી રહ્યું છે. હજુ તો ઉનાળો બાકી છે. ત્યાં તો રાજ્યના 207 ડેમોમાં 50 ટકાથી ઓછું પામી બચ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી માટે પીવાના પાણી બાબતે ભારે સંકટ વધી રહ્યું છે.
સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી ઉપલબદ્ધ
રાજ્યના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યુ છે. જેમાં વાત કરીએ તો સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી ઉપલબદ્ધ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 14.77ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 43.87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.04ટકા, કચ્છના 20 જળાશયોમાં 19.74 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 37.10 ટકા પાણી બચ્યું છે
પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા પારો ઉચકાયો
મહત્વનું છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતાં ગુજરાત ભઠ્ઠી બની ગયું છે. બીજી રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો સામાન્યથી ઊંચો રહેવા પામે છે. આમ સતત પડી રહેલા કાળઝાળ ગરમીના કારણે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કયાં-કયાં અનુભવાશે હીટવેવ?
રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની અસરો જણાશે. તેમજ ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે