મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને કોકડૂ ગૂંચવાતુ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસનું માનવું છે કે મોડુ તેમના તરફથી નહીં, પરંતુ NCP અધ્યક્ષ શરદ પવાર તરફથી થઇ રહ્યું છે. જો કે એક અનુમાન પાછળ કોંગ્રેસની થીયરી એ છે કે શરદ પવાર ઇચ્છે છે કે બંને પાર્ટી શિવસેના અને NCPને અઢી-અઢી વર્ષનું CM પદ મળે. એટલે કે સીએમ પદનું રોટેશન થાય. જો કે શિવસેના અત્યારે આદિત્ય ઠાકેરને મુખ્યમંત્રી બનાવા ઇચ્છી રહી છે.
સીએમને લઇને 50-50 ફોર્મ્યુલા ઇચ્છતા હતા શરદ પવાર
આદિત્ય ઠાકરેને CM બનવા ઇચ્છે છે શિવસેના
જો કે શિવસેનાએ જે 50-50 ફોર્મ્યુલા હેઠળ ભાજપ સાથે પોતાનો 30 વર્ષ જૂનો સંબંધ તોડી નાંખ્યો હતો, તેના જ ચક્કરમાં હવે તે ફસાયેલી જોવા મળી છે.
ખરેખર તો શિવસેનાએ 56 બેઠક પર જીત મેળવી છે જ્યારે NCPની 54 બેઠક પર જીત થઇ છે. આમ વિશ્લેષકોનું માનવું છે કે આમ જુઓ NCP પાસે 2 બેઠક ઓછી છે. જો કે તેમ છતાં NCP દ્વારા સતત મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારને લઇને વાત કહેવામાં આવી રહી છે.
અજીત પવારે કોંગ્રેસ પર મોડુ કરાવ્યાંનો લગાવ્યો આરોપ
આજરોજ સવારે NCP નેતા અજિત પવારે કહ્યું કે ગઇકાલે અમે પૂરો દિવસ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઇ કારણ કે કોંગ્રેસ વગર અમારા સમર્થનનો કોઇ મતલબ નથી. અજીત પવારે એમ પણ કહ્યું કે સ્થિર સરકાર બનાવા માટે કોંગ્રેસે આગળ આવવું જોઇએ. અજીત પવારે સ્પષ્ટ કર્યું કે અમારા તરફથી કોઇ મોડુ થયું નથી. પવારે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે વાતચીત કરીશું અને રાજ્યપાલ પાસે વધુ સમયની માગણી કરીશું.
જ્યારે બીજી તરફ શિવસેના અને NCPના નેતા સતત સરકાર બનવાનો દાવો કરી રહ્યાં છે. આજરોજ સવારે શિવસેનાના નેતા સંજય રાઉતને મળવા પહોંચેલા NCP નેતા છગન ભૂજબળે કહ્યું કે NCP, કોંગ્રેસ અને શિવસેના સરકાર બનાવશે અને તેમાં કોઇ સમસ્યા રહેશે નહીં.
જ્યારે શિવસેના નેતા મનોહર જોષીએ પણ સરકાર બનવાની આશા વ્યક્ત કરી છે. મનોહર જોષીએ પણ શિવસેનાની સરકાર જરૂર બનશે અને કોંગ્રેસ સાથે આવશે તેમ જણાવ્યું.
આમ હવે બધાની નજર કોંગ્રેસ પર છે. દિલ્હીમાં કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર પાર્ટીના નેતાઓની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર બધાની નજર છે.