મહારાષ્ટ્રમાં શુક્રવારની અડધી રાતે જે રંધાયું, શનિવારે સવારે પ્રજા સમક્ષ જે પીરસાયું તેનાથી રાજકીય પાર્ટીઓની સાથે સાથે દેશની જનતા માટે પણ અચાનક તે પચાવવું અઘરું પડ્યું. જ્યાં શુક્રવારે રાત્રે શિવસેના - NCP - કોંગ્રેસની બેઠક બાદ સવારે સરકાર રચવાનો દાવો કરવાની તૈયારીમાં હતું ત્યાં ભાજપે પોલિટીકલ સર્જિકલ સ્ટ્રાઈક કરીને વહેલી સવારે NCPના અજિત પવારના સમર્થનથી સરકાર રચી દીધી. સૌ કોઈના મનમાં સવાલ એ જ આવી રહ્યો હતો કે આખરે આ ગેમ ક્યારેય રમાઈ ગઈ અને અજિત પવારે કાકા શરદ પવારને દગો આપ્યો કે પછી શરદ પવારે શિવસેના-કોંગ્રેસને દગો આપ્યો?
એક મહિના સુધી સરકાર બનાવવાને લઈને મૌન ધારણ કરીને બેસેલી ભાજપ પ્લાન B પર કામ કરવામાં પોતાની તાકાતથી વધારે NCPની નબળાઈનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી. શનિવાર સવારે જ્યારે તમામ અખબારોની હેડલાઈનમાં લોકો શિવસેનાની સરકાર અને ઉદ્ધવ ઠાકરે CM બનશે તેવા સમાચાર વાંચી રહ્યાં હતાં, ત્યારે એ જ સમયે ટીવી ચૅનલો પર ફડણવીસ ગવર્નર હાઉસમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને NCPના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ રહ્યાં હતાં. આ જોઈને રાજકારણમાં તો ભૂકંપ આવ્યો જ હતો પરંતુ સાથે સાથે સામાન્ય જનતા માટે પણ ચોંકાવનારી હકીકત હતી.
પવારે પવારને દગો આપ્યો?
આ બાજુ મહારાષ્ટ્રમાં કિંગ મેકરની ભૂમિકામાં ફરી એક વખત પવાર સાબિત થયાં. બસ, આ વખતે પવારની આગળ નામ શરદ નહીં પરંતુ અજિત હતું. જે રીતે છેલ્લી ઘડી સુધી NCPના શરદ પવાર અને અજિત પવાર કોંગ્રેસ અને શિવસેના સાથે સરકાર બનાવવા માટે આગળ વધી રહ્યાં હતાં તે જોઈને સમગ્ર દેશને લાગી રહ્યું હતું કે શનિવારે તો શિવસેનાની સરકાર બનીને જ રહેશે. પરંતુ મોડી રાતથી અજિત પવાર NCPમાંથી મિ.ઈન્ડિયાની જેમ ગાયબ થઈ ગયા અને સવારે સીધા ડે.સીએમના શપથગ્રહણ કરતા પ્રગટ થયાં. ચર્ચા ચાલી રહી છે કે શરદ પવારની નબળાઈનો ઉપયોગ કરીને ભાજપ સરકાર બનાવવામાં સફળ રહ્યું. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે શિવસેના - NCP - કોંગ્રેસના ગઠબંધનની સરકારની વાતચીત વખતે શરદ પવાર ડે.સીએમ તરીકે જયંત પાટિલનું નામ આગળ ધરવા માંગતા હતા. જેનાથી અજિત પવાર નારાજ પહેલેથી જ હતાં તેમ સૂત્રોનું માનવું છે.
પાર્ટીઓના રાજકારણમાં જનતાની અને લોકતંત્રની મોટી હાર
24 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ આવ્યાના લગભગ એક મહિના સુધી અહીંના રાજકીય ડ્રામાએ સમગ્ર દેશનો જીવ તાળવે ચોંટાડી રાખ્યો હતો. એક ફિલ્મમાં પણ ન જોવા મળે તેવી સસ્પેન્સથી ભરેલી રાજનીતિ આજે જોવા મળી. ખુદ બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ પણ અમદાવાદના એક કાર્યક્રમમાં બોલ્યાં કે "આવું સસ્પેન્સ તો ફિલ્મમાં પણ જોવા નથી મળતું".
આ સમગ્ર મામલામાં આમ જોવા જઈએ તો જો કોઈની હાર થઈ હોય ને તો તે પ્રજાની હાર થઈ છે, લોકતંત્રની શિસ્તબદ્ધતાની હાર થઈ છે. જે પાર્ટીઓ એકબીજાની વિચારધારા વિરુદ્ધ ચૂંટણી લડી હતી તે જ સત્તાની લાલચમાં અચાનકથી એક થઈ ગયાં. મતદારે જે પક્ષ કે ઉમેદવારની વિચારધારાને જોઈ અને જાણીને પોતાનો મત આપ્યો હોય તે ચૂંટણી પરિણામ બાદ કેટલી હદે વિપરિત થઈ જાય છે તે પ્રજાએ આ વખતે જાણી લીધું. ભારતની આ રાજનીતિના વરવા દ્રશ્યને કારણે મતદાર કેટલો લાચાર છે તે દેખાઈ રહ્યું છે અને ચૂંટણી પહેલાં મતની તાકાત જેટલી આપણને દેખાડાતી હોય છે તે જ મતની ચૂંટણીના પરિણામો બાદ કોઈ મૂલ્ય નથી તે પણ સાબિત થઈ ગયું છે.
શિવસેના, કોંગ્રેસ, NCP કે ભાજપ કોઈ પણ રાજકીય પાર્ટીને પ્રજાએ જે વિશ્વાસથી મત આપ્યો હતો તેનું કોઈ મૂલ્ય કે માન ન રહ્યું, તે છેલ્લાં એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામાએ સાબિત કરી દીધું. પ્રજા માત્ર મૂક પ્રેક્ષકની માફક મીડિયામાં જે આવે તે જોઈ રહી હતી અને બીજી બાજુ રાજકીય પાર્ટીઓ મનફાવે તેની સાથે જોડાતી હતી અને મનફાવે તેની સાથે ગઠબંધન તોડતી હતી. ભાજપે પહેલાં સરકાર બનાવવાનો ઈનકાર કર્યો, શિવસેનાએ ગઠબંધન તોડ્યું, શિવસેના જે પાર્ટીઓના વિરોધ કરીને મત મેળવ્યાં તેની સાથે સરકાર બનાવવાની જાહેરાત કરી અને અંતમાં ભાજપ જે NCP સામે સૂત્રોચ્ચાર કરતું હતું તેની સાથે જ અન્ય પ્લાન બનાવી છેલ્લી ઘડીએ સરકાર રચી કાઢે છે. આવામાં આ રાજકીય ડ્રામામાં એવું કંઈ જ બાકી ન રહ્યું કે જેનાથી ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક પ્રામાણિક મતદારને વિશ્વાસ રહે.
ભાજપ હંમેશાની જેમ ચુપકેથી તૈયાર કરી રહ્યું હતું પ્લાન B
એક મહિના સુધી સરકાર બનાવવાને લઈને ચૂપચાપ બેસેલી ભાજપ હકીકતમાં અંદરખાને પ્લાન B પર કામ કરી રહી હતી તેમ આ સમગ્ર મામલામાં ક્લિયર થઈ ગયું. ભાજપે જે રીતે પ્લાન B પર કામ કર્યુ તેની ખબર કોઈને પણ ન હતી અને અંતમાં જ્યારે સત્ય બહાર આવ્યું તો NCPથી લઈને શિવસેના સુધી સૌ કોઈની સવારે ઊંઘ ઉડી ગઈ. સૂત્રોનું માનીએ તો ભાજપે NCPની નબળાઈનો ઉપયોગ કર્યો છે, જેમાં ખાસ કરીને પવારના પરિવારનો આંતરિક વિખવાદ અજિત પવારને ભાજપ તરફ ખેંચી લાવવામાં કામ લાગ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે NCPમાં એક તરફ અજિત પવાર અને બીજી બાજુ શરદ પવાર અને તેમના દીકરી સુપ્રિયા સુલેમાં મતભેદ બનતાં ભાજપને વધુ ફાયદો થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ટિકિટ ફાળવણીને લઈને પણ બંને વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. આજે સવારે જ્યારે ભાજપ સાથે મળીને અજિત પવારે ફડણવીસ સાથે ડે.સીએમના શપથ લીધાં ત્યાર બાદ પવાર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. શરદ પવારની દીકરીએ વૉટ્સઍપ પર સ્ટેટસ અપડેટ કરીને લખ્યું હતું કે "પાર્ટી અને પરિવાર બંને તૂટી ગયો".
શરદ પવાર માટે કાર્યકર્તાઓ એક થયા હતા ત્યારે અજિત પવાર ગાયબ હતા
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં જ્યારે શરદ પવારે ED ઓફિસે જવાની વાત કરી હતી ત્યારે સમગ્ર પ્રદેશમાં NCPના કાર્યકર્તાઓ મુંબઈમાં એકત્ર થયાં હતાં. આ સમયે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે અજિત પવાર અહીં જોવા મળ્યાં ન હતાં. કહેવાય છે કે આ સમર્થનમાં અજિત પવાર શામેલ ન થયાં પરંતુ પોતાનું કદ વધારવા માટે એ જ દિવસે વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું ધરી દીધું હતું. બીજા દિવસે ભાવુક થઈને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ખૂબ જ દુઃખની વાત છે કે મને જ નહીં પરંતુ મારા કાકા શરદ પવારનું નામ પણ EDએ કૉ-ઓપરેટિવ બૅંક ગોટાળામાં શામેલ કર્યુ.
કોંગ્રેસે કહ્યું, અમને પહેલેથી જ શંકા હતી
આ સંપૂર્ણ મામલા પર કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે અમને તો પહેલેથી જ ખબર હતી કે શિવસેના સાથે ગઠબંધન સફળ ન રહ્યું તો NCPનું એક ગ્રુપ પોતાની અલગ રાહ પકડી શકે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પ્રફૂલ્લ પટેલ અને અજિત પવાર દ્વારા શરદ પવારને સાધવાની કોશિશમાં પહેલેથી જ હતા જેમના વિરુદ્ધ ED તપાસ કરી રહી છે.
પુત્ર પ્રેમ અને ભત્રીજા પ્રેમમાં મહારાષ્ટ્ર પીસાયું?
આ રાજકીય ડ્રામામાં જ્યાં મતનું મોત થતું દેખાઈ રહ્યું છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા એ પણ થઈ રહી છે કે આ સમગ્ર રાજકીય ડ્રામા પુત્ર પ્રેમથી શરૂ થયું અને ભત્રીજા પ્રેમમાં લગભગ એક મહિના સુધી અટવાયેલું રહ્યું. કારણ કે કહેવાય છે કે શિવસેનાનું ભાજપ સામે ટસથી મસ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે આ વખતે કોઈ પણ કાળે સત્તામાં બેસવાનું હતું. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ (આદિત્ય ઠાકરે) ચૂંટણી લડ્યું હતું અને જીત્યું હતું. આવામાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે ચૂંટણી જીત્યાં અને સામે ભાજપની બેઠકો ઘટી અન શિવસેનાની બેઠકો વધી. જેથી શિવસેનાના તેવરમાં પણ વધારો થયો અને સત્તામાં ભાગીદારી માંગી. જેથી આગળ જતાં આદિત્ય ઠાકરેની સાથે ઠાકરે પરિવારનું કદ ભાજપની સામે વધતું રહે.
બીજી બાજુ મહારાષ્ટ્રના રાજકારણમાં એ વાત છુપી નથી કે કાકા શરદ પવારને ભત્રીજા અજિત પવાર માટે કેટલો પ્રેમ છે. આ પ્રેમ તેમના રાજકીય રમતોમાં પણ દેખાતો હતો. શરદ પવારે અજિત પવારના રાજકીય કરિયર માટે કોઈ કસર છોડી નથી અને જ્યારે પણ તક મળી છે ત્યારે તે સાબિત કર્યુ છે. આવામાં જ્યારે આ વખતે NCP ફરી એક વખત મહારાષ્ટ્રમાં કિંગ મેકરના રોલમાં દેખાઈ રહી હતી ત્યારે NCPના ભાગે પણ ડે.સીએમ પદ સહિત મંત્રીપદ આવે તેવા પ્રયાસો કર્યા હતા. પરિણામે ચર્ચા એ પણ થઈ રહી હતી કે NCP-કોંગ્રેસ-શિવસેનાની સરકાર બનાવવાની ફોર્મ્યુલા આ પુત્ર-ભત્રીજા પ્રેમમાં ઘણી વખત ફસાતી રહી અને જલ્દીથી કોઈ નિર્ણય આવી શક્યો ન હતો.