નવરાત્રીમાં પ્રથમવાર પાવાગઢ મહાકાળી માતાજીની મહાઆરતી કરવામાં આવી, ઉજ્જૈનથી આવેલા મહાકાલના ભક્તો દ્વારા શંખ અને ડમરું સાથે માતાજીની મહાઆરતી કરવામાં આવી.
પાવાગઢમાં મહાકાળીની મહાઆરતી
મહાકાલના ભક્તોએ કરી મહાઆરતી
શંખ અને ડમરુંના નાદ સાથે ગુંજી ઉઠ્યું વાતાવરણ
કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી છે, જ્યારે ભક્તો તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી રહ્યા છે. ત્યારે સર્વ પ્રથમ વાર નોરતામાં મહાકાળી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ઉજ્જૈનથી આવેલા ભક્તોએ કરી મહાઆરતી
પાવાગઢ મહાકાળી માતાજીની મહાઆરતી ઉજ્જૈનથી આવેલા મહાકાલના ભક્તો દ્વારા શંખ અને ડમરુંના નાદ સાથે કરવામાં આવી હતી. આ મહાઆરતીનો મોટી સંખ્યામાં માઇભક્તોએ લાભ લીધો હતો. માતજીની મહાઆરતીમાં ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે દર્શન
માં શક્તિની ઉપાસના અને ભક્તિનો મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસથી જ લાખોની સંખ્યામાં ભક્તો આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ અને મંદિરના નવીનીકરણ કરાયા બાદની પ્રથમ નવરાત્રી ઉજવાઈ રહી છે. નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાની રમઝટ સાથે પાવાગઢમાં નવરાત્રીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે
ગતરોજ 2 લાખથી વધારે ભક્તોએ કર્યા દર્શન
યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ગુરૂવારે ત્રીજા નોરતે બે લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રી દરમ્યાન પાવાગઢ માતાજીનું મંદિર વિવિધ કલરની લાઇટોથી સુશોભીત થયું હતુ. આ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પંચમહાલ દાહોદ અને મહીસાગરની 800 ઉપરાંત પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રી દરમિયાન નિજ મંદિરને વહેલું ખુલ્લું મુકવું, સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું છે. તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ 8 વાગ્યે બંધ થયા બાદ પણ રોપવે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવરાત્રીમાં માતાજીના દર્શનનો સમય
નવરાત્રી દરમિયાન એકમથી છઠ સુધી અને નોમથી તેરસ સુધી ભક્તો સવારના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. જ્યારે સાતમ અને આઠમના દિવસે એક કલાક વહેલું મંદિર ખુલી જશે, એટલે કે ભક્તો સવારના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.
નવરાત્રી દરમિયાન 60 ટન સુખડીના પ્રસાદનું થાય છે વિતરણ
પંચમહાલના પાવાગઢમાં પ્રસાદનો અનેરો મહિમા છે. નવરાત્રીમાં મંદિર ખાતે આવતા ભક્તોને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પાવાગઢની સુખડીના પ્રસાદનો નવરાત્રીમાં લાખો ભક્તો લાભ લે છે. નવરાત્રીના નવ દિવસ, પૂનમ દરમિયાન પાવાગઢમાં સુખડી બનાવવામાં આવે છે. પ્રસાદી બનાવવાની પ્રક્રિયા સતત નવ દિવસ સુધી ચાલતી રહે છે. આ વર્ષે પણ દિવસ-રાત મશીનરી ચાલુ રાખીને સુખડી બનાવવામાં આવી રહી છે. કાલિકા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન 60 ટન સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.