મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આમ કમલનાથ સરકાર પર સંકટ વધુને વધું ઘેરાતુ જઇ રહ્યું છે. આ આખી સ્થિતિ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ સામે આવી છે. આ આખા રાજકીય ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અને બીજેપી બંનેએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.
રાજકીય ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અને બીજેપી બંનેએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
મધ્યપ્રદેશના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસથી રાજીનામુ આપી દીધું
મધ્ય પ્રદેશમાં લાંબા સમયથી કમલનાથ અને સિંધિયાની વચ્ચે ખેંચતાણ એ હદે વધી ગઇ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસથી રાજીનામુ આપી દીધું છે. મંગળવારે સવારે સિંધિયા અમિત શાહને મળવા પહોંચ્યા અને તેમની સાથે ગાડીમાં બેસીને પીએમ મોદીની મુલાકાત લીધી.
એક કલાકની મુલાકાત બાદ સિંધિયા બહાર આવ્યા. તેમના મૌન વચ્ચે સમાચાર મળ્યા કે સિંધિયા બીજેપીમાં સામેલ થશે અને તેઓને રાજ્યસભા મોકલવામાં આવી શકે છે. આ ઉપરાંત તેઓને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવશે. આ સમાચારો પર સિંધિયાનું મૌન અને બીજેપીની ચુપ્પી બાદ તમામ ખેલ સ્પષ્ટ થઇ ગયો હતો.
જ્યારે જ્યોતિરાદિત્યની મુલાકાત ગૃહ મંત્રી અમિત શાહ અને મોદી સાથે ચાલી રહી હતી ત્યારે બેંગલુરુમાં હાજર સિંધિયા સમર્થક 19 કોંગ્રેસ ધારાસભ્યોની તસવીર સામે આવી. તેમા કમલનાથ સરકારના 6 મંત્રી પણ સામેલ હતા. ત્યારબાદ આ તમામે રાજીનામા આપી દીધા.