મચ્છુ નદીની વાત આવે ત્યારે અચૂક 1979માં સૌરાષ્ટ્રના મોરબી પંથકમાં બનલી મોટી મચ્છુ-2 તૂટવાની હોનારતની વાત અચૂક માનસપટ પર તાજી થાય. આ જળ હોનારતમાં કેટલાય લોકો તથા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ ઘટના ફરી એકવાર ફિલ્મી પડદે આજની તથા ભાવી પેઢીને જોવા મળવાની છે.
મયુર ચૌહાણ લીડ રોલ રોલમાં
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની ઝાંખી કરાવતી 'મચ્છુ એક્ટ ઓફ ગોડ' ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે, આ ફિલ્મમાં મયુર ચૌહાણે લીડ રોલ કર્યો છે. તેમની સાથે આ ફિલ્મમાં જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર અને ગૌરાંગ આનંદ પણ જોવા મળશે. આ ફિલ્મ જતિન પટેલે પ્રોડ્યુસ કરી છે તથા શૈલેષ લેઉઆ ડિરેક્ટ કરી રહ્યા છે. શૈલેષ લેઉઆ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કાર્યરત છે. તથા આ ફિલ્મની પટકથા જય ભટ્ટ તથા શૈલેષ લેઉઆએ લખી છે.
શું બની હતી ઘટના..?
આપને જણાવી દઇએ કે, 11 ઓગસ્ટ 1979 શનિવારના રોજ મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો અને જબરજસ્ત હોનારત સર્જાઇ હતી. આ જળ હોનારતમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા, કરોડોનું નુક્સાન થયું હતું. આ દુર્ઘટના સર્જાયાની ગણતરીની મિનીટોમાં આસપાસના 5 કિલોમીટરમાં પાણી ફરી વળ્યા હતા.
આ હોનારત અંગેની સૌ પ્રથમ જાણકારી સેટેલાઇટ દ્વારા અમેરિકાને મળી હતી. અપકમિંગ ફિલ્મ 'મચ્છુ-એક્ટ ઓફ ગોડ'માં આ જ હોનારતની વાત આલેખવામાં આવી છે. ફિલ્મ 2019ના એન્ડમાં રિલીઝ થઈ શકે છે.