ટ્રેડ યુનિયન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પગાર મોડો મળવો તેમજ નોકરીમાંથી છુટ્ટા કરવાનો મામલો ઉઠાવ્યો છે. રાષ્ટ્રીયસેવક સંઘ (RSS) સાથે જોડાયેલ ભારતીય મજદૂર સંઘ (BMS) અને લેફ્ટ સમર્થિત CITU એ અલગ-અલગ પત્ર લખી દેશમાં લોકડાઉનના કારણે અલગ-અલગ સેકટરોમાં શ્રમિકોને પડી રહેલી પરેશાનીઓને અંગે જણાવ્યું છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઇને કેન્દ્રની મોદી સરકારે 25 માર્ચથી દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.
લોકડાઉનના કારણે અલગ-અલગ સેકટરોમાં શ્રમિકોને પડી રહી છે પરેશાની
કેન્દ્ર સરકારે 20 માર્ચના રોજ પબ્લિક અને પ્રાઇવેટ સેકટર બંનેના નોકરીદાતાઓને સલાહ જારી કરી હતી કે તેઓ કોઇને પણ નોકરીમાંથી ન નીકાળે અને કોન્ટ્રાકટ/દૈનિક શ્રમિક સહિત બધા કર્મચારીઓને લોકડાઉનના સમયગાળા દરમિયાન પગાર/ભથ્થાની ચુકવણી કરે. ટ્રેડ યુનિયન્સે પોતાના પત્રમાં સરકારને આ નિર્દેશોનું મોટા પાયે ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું જણાવ્યું છે.
BMS એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નાના ઉદ્યોગો અને MSMEs મોટી મુંઝવણમાં ફસાય ગયા છે. જેમાં મોટા ભાગના પાસે પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે અને ઉદ્યોગને જીવંત રાખવા માટે ફંડ નથી. સરકારે એવી સમિતિનું ગઠન કરવું જોઇએ જે આ કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખે. આ સાથે જ MSMEs અને બીજા નાના ઉદ્યોગકારો માટે લોકડાઉન બાદ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે જે સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા નથી.
BMS પત્રમાં આરોપ લગાવ્યો ચે કે કેટલાક રાજ્યોએ રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ અને ત્રિપુરા જેવા કેટલાંક રાજ્યોએ અત્યાર સુધીમાં કોઇ રકમ ટ્રાન્સફર કરી નથી. તામિલનાડુમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. ત્યાં 10 ટકા જનસંખ્યા ભુખમરામાં ધકેલાઇ ગઇ છે.
BMS એ સુચન કર્યું છે કે કોરોના મહામારી પુરી થઇ જાય ત્યારબાદ લોકડાઉને તબક્કાવાર રીતે હટાવો જોઇએ જેના કારણે ઉદ્યોગ અને શ્રમિકોને પરત ફરવા માટે પર્યાપ્ત સમયગાળો અને ભરોસો મળી શકે.
લેફ્ટ સમર્થિત ટ્રેડ યુનિયન CITU એ શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવને પત્ર મોકલ્યો છે. જેમાં સરકારી નિર્દેશનું ઉલ્લંઘનના ઘણા મામલાઓ સામે આવ્યાં હોવાનું જણાવ્યું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં બેંકના કોન્ટ્રાકટ / દૈનિક કર્મચારીઓની સેવાઓ ખત્મ થઇ હોવાનું સામેલ છે.