રાજ્યમાં વકરી રહેલા કોરોનાના નાથવા મધ્યપ્રદેશ સરકારે ભોપાલ,જબલપુર,ઈન્દોર, બેતુલ, છિંદવાડા, રતલામ અને ખરગોનમાં રવિવારે ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો
સીએમ શિવરાજ સિંહ ચોહાણે બોલાવી ઈમરજન્સી બેઠક
ભોપાલ,જબલપુર,ઈન્દોર સહિત 7 જિલ્લામાં લોકડાઉન
જાહેર સ્થળોએ હોળી સમારોહ પણ નહીં યોજી શકાય
સીએમ શિવરાજ સિંહ ચોહાણે બુધવારે એક હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી જેમાં સાત જિલ્લાઓમાં એક દિવસીય ટોટલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.રાજ્યમાં 31 માર્ચ સુધી સ્કૂલ અને કોલેજ પણ બંધ રહેશે. જાહેર સ્થળોએ હોળી સમારોહ પણ નહીં યોજી શકાય. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1712 કેસોની સાથે જ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બાદ દેશનું બીજું કોરોના હોટસ્પોટ રાજ્ય બની રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે વધુ બે જિલ્લામાં લગાવ્યુ લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નંદેડ અને બીડમાં 4 એપ્રિલ સુધી લોકડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પાબંધીઑ આજ રાતથી લાગુ કરવામાં આવશે.
આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ રહેશે ખુલ્લી
આ પ્રતિબંધોમાં દૂધ, શાકભાજીની દુકાનોને સવારે 7થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પહેલેથી જ વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
પંજાબમાં 81 ટકા કેસમાં યૂકેનો વેરિઅન્ટ મળ્યો
પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેક્સીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.