અલાહાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરી દીધાં બાદ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર હવે બીજા અનેક શહેરોના નામ બદલે એવી સંભાવના છે. ભાજપના ધારાસભ્ય જગનપ્રસાદ ગર્ગે હવે માંગ કરી છે કે આગ્રાનું નામ બદલીને આગ્રાવન અથવા તો અગ્રવાલ કરી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ભાજપના ઘણાં નેતા એવો દાવો કરી રહ્યાં છે કે તાજમહેલ એ હકીકતમાં રાજપૂત રાજાએ બંધાવેલું તેજો મહાલય નામનું શિવમંદિર છે. હવે ભાજપની માંગ છે કે આગ્રામાં અગ્રવાલ સમુદાયના લોકોની બહુમતિ છે એ સંજોગોમાં તેનું નામ અગ્રવાલ કરી દેવું જોઇએ.
આગ્રા ઉત્તરથી ભાજપના વિધાનસભ્ય જગનપ્રસાદ ગર્ગે યોગી આદિત્યનાથને પત્ર લખીને આ માંગ કરી છે. ગર્ગના મતે અગાઉ આ સ્થળે બહુ વન હતાં એ જોતાં આગ્રાનું નામ આગ્રાવન કરી દેવું જોઇએ. તો ભાજપના જ અન્ય એક ધારાસભ્ય સંગીત સોમે મુઝફ્ફરનગરનું નામ બદલીને લક્ષ્મીનગર કરવાની માંગ કરી છે.
તેમના મતે અહીંયાના લોકોની સદીઓથી માંગ છે કે મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરી નાખવામાં આવે. મુઝફ્ફરનગર નામ નવાબ મુઝફ્ફર અલીએ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપની સહયોગી શિવસેના પણ ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાની માંગ કરી રહી છે. તો ગુજરાત સરકાર પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા વિચાર કરી રહી છે.