વડોદરા કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈને ફરી એક વાર ન્યાયતંત્ર અને વકીલો સામ સામે આવ્યાં છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ ન આવતાં વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી વકીલોની હડતાળને બેઅસર બનાવવા પ્યાસ કર્યો છે. જેની સામે વકીલોમાં રોષ ફેલાયો છે.
વડોદરાની જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન થયું ત્યારથી વકીલો માટે સંતોષકારક બેઠક વ્યવસ્થા થઈ શકી નથી. જેથી વકીલો દ્વારા અવારનવાર આંદોલન કરાઈ રહ્યું છે. તેમ છતાં પણ બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી વકીલોએ ફરી એક વાર અચોકકસ મુદ્દતની હડતાળનું એલાન કરી દીધું છે. વકીલો કોર્ટ પરિસરની બહાર એકત્રિત થઈને કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં હતાં.
એટલું જ નહીં, વકીલોએ અસીલોને પણ કોર્ટ કાર્યવાહીમાં જતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ પરિસર બહાર તંગદિલી ભર્યો માહોલ જોતાં કોર્ટ પરિસરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. વકીલો વતી વકીલ મંડળનાં પ્રમુખે હુંકાર ભર્યો હતો કે, જ્યાં સુધી બેઠક વ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.
વકીલોની હડતાળ અને અસીલોને કોર્ટ કાર્યવાહીમાં જતા રોકવા થતી દરમિયાનગીરીને જોતાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વકીલોને અટકાવવામાં આવ્યાં હતાં. વકીલો દ્વારા રોકવામાં આવેલાં અસીલોને પોલીસ દ્વારા મુક્ત કરાવીને કોર્ટમાં મોકલવામાં આવ્યાં હતાં. જેનાં કારણે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવાં સંજોગો ઊભા થયાં હતાં. જો કે ડીસીપી રાજન સુસરા ખુદ બંદોબસ્તમાં ઉતર્યા હતાં અને અસીલોને કોર્ટમાં જવા માટે માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં એક તરફ વકીલો હડતાળ ચાલુ રાખવા મક્કમ હતાં તો બીજી તરફ હડતાળ નિષ્ફળ બનાવી હોવાનું પોલીસ માની રહી હતી. જો કે કોર્ટ બહાર જ કાયદાનાં રક્ષકો અને કાયદાનાં તજજ્ઞો ગમે ત્યારે મોટી ઝપાઝપીમાં ઊતરી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
મહત્વની વાત છે કે અગાઉ પણ વકીલો બેઠક વ્યવસ્થા બાબતે 15 દિવસ સુધી હડતાળ પર રહ્યાં હતાં ત્યારે અસીલોને ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે ક્યારે ન્યાયતંત્ર અને વકીલો વચ્ચેનાં વિવાદનો અંત આવશે તેવો સવાલ લોકોનાં મનમાં થઈ રહ્યો છે.