શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી જમીન પર ખોટો કબજો કરવાના ઇરાદે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરનાર સાત લોકો વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. વિધવાની જમીન હડપ કરવા માટે સાતેય આરોપીઓએ એકબીજાની મદદથી બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટે આરોપીઓનો દાવો રદ કર્યો હતો. વિધવાએ એસઆઇટીમાં સાત લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં રહેતા ૭૦ વર્ષિય પુંજીબહેન ઠાકોરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં સાત લોકો વિરુદ્ધમાં ખોટા પાવર ઓફ એટર્ની કરીને જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ કરી છે. પુંજીબહેનના પતિ રણછોડજીનું ૧૯૭૮માં અવસાન થયું હતું. હાલ તે એકલા રહે છે. તેમની ત્રણ પુત્રીઓના લગ્ન થઇ ગયા છે. વેજલપુર ગામની સીમમાં આવેલ એક જમીન રણછોડજીના નામે હતી, જેમના અવસાન બાદ આ જમીન પુંજીબહેન તેમજ તેમની પુત્રીઓના નામે વારસાઇ થઇ હતી. થોડાક સમય બાદ શહેરી ટોચમર્યાદા ધારાની જોગવાઇઓ મુજબ પુંજીબહેન સહિત કેટલાક લોકોની જગ્યાને ફાજલ જાહેર કરવામાં આવી હતી અને ધી અર્બન લેન્ડ (સીલિંગ એન્ડ રેગ્યુલેશન) એક્ટ મુજબ સરકારે કબજો લઇ લીધો હતો.
સરકારે જમીન ફાજલ કરવાનો હુકમ ખોટો છે અને તેના ઉપર લક્ષ્મીકૃપા વસાહત બની ગઇ હોવાથી પુંજીબહેને ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી હતી. ર૦૧૪માં હાઇકોર્ટે પુંજીબહેનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જેથી તેમણે આ જમીનને વેચવા મૂકી હતી. ગત વર્ષે આ જમીન બીલ્ડર્સ સંજયકુમાર પટેલ અને તેમના ભાગીદારોએ ખરીદી હતી, જેમાં પુંજીબહેન તથા તેમની પુત્રીઓએ સબરિજસ્ટ્રારની ઓફિસમાં જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.
જમીનનો દસ્તાવેજ થઇ ગયા પછી પુંજીબહેનને જાણવા મળ્યું હતું કે રમેશ દેસાઇ, રાજુ દેસાઇ, ભરત દેસાઇ તથા રાજેશ દેસાઇએ તેમની પુત્રીઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બોગસ અંગૂઠા લગાવીને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા, જેમાં સાક્ષી તરીકે પ્રહ્લાદ ઠાકોર અને બળદેવભાઇ ભરવાડે સહી કરી હતી. બોગસ પાવર ઓફ એર્ટની બનાવીને આરોપીઓએ સબરિજસ્ટ્રારની ઓફિસમાં જમીનની નોંધણી કરવા માટે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા.
આરોપીઓએ તમામ ડોક્યુમેન્ટના આધારે જમીનનો દસ્તાવેજ ખોટો છે તેમ કહી જમીનનો મનાઇહુકમ મેળવવા માટે દીવાની દાવો કર્યો હતો, જે દાવો કોર્ટે રદ કર્યો હતો. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન હડપ કરવાનું કાવતરું ઘડનાર તમામ સાત આરોપી વિરુદ્ધમાં પુંજીબહેને જમીન કૌભાંડ માટે રચાયેલી એસઆઇટીમાં અરજી કરી હતી. અરજીના આધારે તપાસ થતાં આનંદનગર પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓ ઘાટલોડિયા, રામોલ અને બોડકદેવની રહીશ છે.