મહાશિવરાત્રી નિમિતે જૂનાગઢના ભવનાથ ખાતેના પરંપરાગત મેળામાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા ભક્તોનો મોટાપાયે ઘસારો જોવા મળી રહ્યો છે.
ગિરનારમાં જામ્યો ભજન, ભોજન અને ભક્તિનો સંગમ
ભવનાથના મેળામાં લાખો શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી
હર હર ભોલેના નાદથી ગિરનાર ગુંજી ઉઠ્યો
સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. સાધુઓના પિયર એવા જૂનાગઢમાં પરંપરાગત મેળામાં લાખો ભક્તો ઉમટી પડી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બીજી તરફ શ્રધ્ધાળુઓના આગમનને લઈ ઠેર ઠેર રસોડા પણ ધમધમી રહ્યા છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વને યાત્રાળુઓ ઉમટી પડતા હર હર ભોલેના નાદથી ગિરનાર ગુંજી ઉઠ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢના ભવનાથમાં દર મહાશિવરાત્રી પર મેળાનું આયોજન કરવામાં આવે છે.
ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી
મહાશિવરાત્રીને લઈને ધોરાજી ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં ધોરાજી એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રીને લઈને વધારીની બસ દોડાવવામાં આવી રહી છે. આ બસના રૂટની વાત કરી એ તો વડોદરા, જામનગર, અમરેલી, વેરાવળ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. અને ધોરાજી એસટી વિભાગ દ્વારા 16 બસો દોડાવવામાં આવે છે. જ્યારે જેતપુર ST વિભાગ દ્વારા 18 બસો એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે. મહા શિવરાત્રીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, જૂનાગઢ મેળામાં જવા માટે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
દિગંબર સાધુઓ મેળાનું આકર્ષણ
આવતીકાલે મહાશિવરાત્રીને પગલે જૂનાગઢ જવામાં શ્રધ્ધાળુઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આવતીકાલે શાહી સવારી, શાહી સ્નાન માટે લાખો લોકો આજથી ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુઓના અખાડો હોય છે.