SITએ આરોપીઓ પર લગાવેલી કલમોને બદલી હત્યાની કલમો લગાવાઇ
ખેડૂતો પર SUV કાર ચઢાવી દેતા 4 ખેડૂતોનું થયું હતું મૃત્યુ
સૌથી મોટા સમાચાર
ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી કાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવી ગયો છે, SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતોને ગાડીથી કચડી નાંખવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ કાવતરું હતું, SIT એ તમામ આરોપીઓ પર હત્યાની ધારાઓ લગાવી દીધી છે. નોંધનીય છે કે આરોપીઓમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં દીકરાનું પણ નામ છે, આશિષ મિશ્રા સહિત 14 લોકો હવે હત્યાનો કેસ ચાલશે. આજે જ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.
હત્યાની કલમો લાગશે
લખીમપુર ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત 14 લોકો પર તપાસ બાદ કલમો બદલવામાં આવી છે. તમામ આરોપીઓ પર ઈરાદાપૂર્વકનું આયોજન કરીને ગુનો આચરવાનો આરોપ છે. SITએ IPC કલમ 279, 338, 304A દૂર કરી છે અને 307, 326, 302, 34,120 B, 147, 148,149, 3/25/30 લગાવી છે.
શું છે સમગ્ર કેસ
નોંધનીય છે કે ત્રીજી ઓકટોબરનાં રોજ યુપીના લખીમપૂરમાં એક ઘટના થઈ હતી જેમા કાર નીચે કચડાઈ જવાના કારણે ચાર ખેડૂતોનાં મોત થયા હતા. જે બાદ ખેડૂત આંદોલનમાં સામેલ ભીડે પણ સામે પક્ષે કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. સમગ્ર ઘટનામાં આરોપ હતો કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતાના દીકરાએ જ ખેડૂતોને મારવા માટે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું.