કોલકાતા: ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ આગામી તા. 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. એ પહેલાં ગઈ કાલે કોલકાતા શહેર ગુલાબી રંગે રંગાયેલું જોવા મળ્યું. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મેચના સત્તાવાર મેસ્કોટ 'પિન્કુ-ટિન્કુ'નું અનાવરણ પણ કર્યું. ગાંગુલીએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 'પિન્કુ-ટિન્કુ' અને મેચની ટિકિટ સાથે તસવીરો પણ ખેંચાવી. આ ઉપરાંત એક મોટા પિન્ક બલૂનનું પણ અનાવરણ કરવામાં આવ્યું, જે ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ઐતિહાસિક ટેસ્ટ મેચ દરમિયાન કોલાકાતાના આકાશમાં સતત નજરે પડશે.
ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી શરૂ
કોલકાતા શહેર ગુલાબી રંગે રંગાયું
મુખ્યપ્રધાન મમતા બેનરજી પરંપરાગત ઈડન બેલ વગાડીને મેચની શરૂઆત કરાવશે
શહેરનાં મહત્ત્વપૂર્ણ સ્મારકો- શહીદ મંદિર, સૌથી ઊંચી ઇમારત '42' અને કોલકાતા મહાનગરપાલિકાના ઘણા પાર્ક પિન્ક લાઇટથી સજાવવામાં આવ્યા છે. હુગલીમાં ચાલતી બોટમાં પણ ગુલાબી રોશની કરવામાં આવી છે. શહેરમાં મોટાં પોસ્ટર, LED ડિસ્પ્લે લગાવાયાંઃ બંગાળ ક્રિકેટ એસોસિયેશન (સીએબી)એ જણાવ્યું, શહેરમાં લગભગ એક ડઝન જેટલાં મોટાં પોસ્ટર અને છ એલઇડી બોર્ડ નજરે પડશે. લોકોમાં આ ટેસ્ટ મેચને લઈને જાગૃતિ ફેલાવવા માટે બ્રાન્ડિંગ કરનારી બસ પણ રસ્તા પર જોવા મળશે. સીએબીએ એક એજન્સી સાથે કરાર કર્યો છે, જે ઈડન ગાર્ડન્સની અંદરની દીવાલો પર ક્રિકેટ અને ક્રિકેટરોની ઇનસાઇડ સ્ટોરી રજૂ કરતી તસવીરો બનાવશે.
મમતા બેનરજી અને શેખ હસીના હાજર રહેશે
ડે-નાઇટ ટેસ્ટ મેચની શરૂઆત આર્મીના પેરાટ્રૂપર્સ ઈડન ગાર્ડન ઉપર ઉડાણ ભરશે અને ટોસ થતાં પહેલાં બંને ટીમના કેપ્ટનનો પિન્ક બોલ સુપરત કરશે. ત્યાર બાદ બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી પરંપરાગત ઈડન બેલ વગાડીને મેચની શરૂઆત કરાવશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ આગામી 48 કલાકમાં કોલકાતા પહોંચી જશે.
ટી-ટાઇમ વખતે ભૂતપૂર્વ ખેલાડીઓ મેદાનનું ચક્કર લગાવશે
મેચ દરમિયાન 20 મિનિટના ટી-બ્રેકમાં ક્રિકેટ સહિત અન્ય રમતોના ભૂતપૂર્વ કેપ્ટન ઓપન કારમાં બેસીને બાઉન્ડ્રી લાઇન નજીક મેદાનનું ચક્કર કાપશે. 40 મિનિટના લંચ ટાઇમ દરમિયાન સીએબી 'ફેબ્યુલસ ફાઇવ' નામનો એક ટોક શો પણ યોજશે, જેમાં ભારતીય ટીમના પાંચ ભૂતપૂર્વ ખેલાડીઓ- સૌવ ગાંગુલી, સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને લક્ષ્મણ 2001માં આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચ અંગે વાત કરશે.
સ્પોર્ટ્સ સ્ટારનું સન્માન થશે
સીએબીના સચિવ અભિષેક દાલમિયાએ જણાવ્યું, ''અમે ભારતીય સ્પોર્ટ્સ સ્ટારનું સન્માન પણ કરીશું. આ પ્રસંગે સચીન તેંડુલકર, ઓલિમ્પિયન અભિનવ બિન્દ્રા, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી. વી. સિંધુ અને છ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનેલી મેરી કોમને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ભારત-બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 2000માં રમેલી ટીમના ખેલાડીઓને પણ સન્માનિત કરાશે. એ ટેસ્ટ મેચ કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની પ્રથમ મેચ હતી.