શ્રાવણ મહિનો એટલે ભોળા શંભૂ શિવની ભક્તિનો મહિનો, શ્રાવણમાં ભગવાન શિવની પૂજા, અર્ચના અને આરાધના કરીને ભક્તો આશીર્વાદ પામે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે ભગવાન શિવના 12 જ્યાતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી જ ભગવાનનો શણગાર કરવામાં આવે છે. શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્માના કહ્યા મુજબ શીવજીને ભસ્મ ઘણી પ્રિય છે.
કેમ થાય છે ઉજ્જૈનમાં ભસ્મ આરતી
શીવજીની લીલા છે અપરંપાર
ભસ્મ છે શીવજીનો શણગાર
બીજા દેવી દેવતાઓના શણગાર, સોના-ચાંદીના ઘરેણાથી થતો હોય છે પરંતુ શીવજીની પર્સનાલિટી બધા દેવી દેવતા કરતા અલગ છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મની આરતી કરવાનો રિવાજ ઘણા વર્ષોથી ચાલતો આવે છે. આ આરતી પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.
ભસ્મ એ જ સૃષ્ટિનો સાર
ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવ્યો છે. એક દિવસ એવો આવશે કે સમગ્ર સૃષ્ટિનો નાશ થઇ જશે અને તે રાખમાં ફેરવાઇ જશે, આ રાખ શિવજી ધારણ કરે છે. જ્યારે સંસારનો નાશ થશે ત્યારે દરેક પ્રાણીઓની આત્મા અને આખી સૃષ્ટિ શિવજીમાં જ વિલીન થઇ જશે. શાસ્ત્રોની માન્યતા છે કે, સમય-સમય પર પ્રલય થાય છે અને બધું નષ્ટ થઇ જાય છે. ત્યારબાદ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે અને આ ક્રમ ચાલતો જ રહે છે.
આ રીતે ભસ્મ થાય છે તૈયાર
શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.