ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો કિન્નરો દાપુ માગવા આવતા હોય છે અને લોકો ખુશીથી દાપુ આપતા પણ હોય છે. જો કે, સુરતમાં કિન્નરોની દાદાગીરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક પરિવારમાં દીકરાનાં જન્મ બાદ દાપુ માંગવા આવેલા કિન્નરોને દાપુ ઓછું પડતાં નવજાત શિશુના પિતા પર હુમલો કર્યો હતો. જેનાં કારણે યુવકને આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે. ત્યારે જોઈએ સમાજની આંખ ઉઘાડનારો અને આસ્થાનો લાભ ઉઠાવતા આ ખૂની કિન્નરોનો અહેવાલ.
સુરત ની (Surat) સ્મીમીરે હોસ્પિટલનાં આ આઇસીયુ વોર્ડમાં જે દર્દી સારવાર હેઠળ છે તેનું નામ ગેહરીલાલ છે. તેમના ઘરે શનિવારે પુત્રનો જન્મ થયો હતો. પરંતુ પુત્રના જન્મની ખુશી મનાવવાનો કે પત્નીનાં ભરણપોષણની વ્યવસ્થા કરવાનો પણ ગહેરીલાલને સમય ન મળ્યો. કેમ કે, ગહેરીલાલને સમય મળે તે પહેલાં જ દાપુનાં નામે લૂંટ ચલાવાનારા કિન્નરોએ હુમલો કરી ગહેરીલાલને હોસ્પિટલનાં બિછાને પહોંચાડી દીધાં છે.
હાલમાં ગહેરીલાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. ગહેરીલાલ એ મૂળ રાજસ્થાનનો વતની છે અને સુરતનાં ગોડદરા વિસ્તારમાં પોતાની પત્ની અને બે પુત્રી અને પાંચ દિવસના નવજાત શિશુ સાથે રહે છે. ગહેરીલાલ પર થયેલા હુમલાથી અને તેના પરિવારમાં પુત્ર પ્રાપ્તિનો આનંદનો પ્રસંગ દુઃખમાં પલટાઈ ગયો છે. ગહેરીલાલના પિતાએ મીડિયા સામે આ રીતે પોતાની વ્યથા ઠાલવી હતી.
સમગ્ર વાત એમ છે કે, ગહેરીલાલને પુત્ર આવ્યા બાદ કિન્નરોએ રિક્ષામાં બેસીને તેના ઘરે ત્રણ દિવસ સુધી આંટા માર્યા હતા અને 21 હજાર રૂપિયા જેટલી માતબર રકમની માંગણી ચાલુ રાખી હતી. જો કે લાંબી રકઝક બાદ ગહેરીલાલ દ્વારા 7 હજાર રૂપિયા આપવામાં આવ્યાં. પરંતુ તેમ છતાં કિન્નરોને સંતોષ ન થયો અને કિન્નરોએ ગહેરીલાલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો. એટલું જ નહીં કિન્નરો (Kinnar) આવેશમાં આવીને ગેહરીલાલનું માથું દિવાલ સાથે અફળાવ્યું. જેનાં કારણે ઘાયલ થયેલા ગહેરીલાલના મગજની નસ ફાટી ગઈ. જેને હાલમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આ તરફ ગહેરીલાલના પરિવારજનો અને તેની પત્ની ઘેરા શોકમાં સરી પડ્યાં છે. ગહેરીલાલની પત્નીએ મીડિયા સામે આપવીતી ઠાલવી હતી.
આ ઘટના બન્યા બાદ જ્યારે પોલીસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી ત્યારે પોલીસ પણ કિન્નરોના આતંકને લઇને વાકેફ હતી. તેથી પોલીસે આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક પગલાં લઈને ત્રણ જેટલાં કિન્નરોની ધરપકડ કરી હતી. કિન્નરોની ધરપકડ કર્યા બાદ તાત્કાલિક તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ અસલી કિન્નર છે કે નકલી કિન્નર તે અંગેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે ત્રણ કિન્નરો સામે ધમકી અને મોતના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
જો કે, આ બાબતે વીટીવી દ્વારા કિન્નરો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે કિન્નરો પોતાનો બચાવ કરતા દેખાયાં. કિન્નરો દ્વારા પોતાનો બચાવ કરતાં તેમણે ગહેરીલાલ સાથે કોઇ પણ પ્રકારનું અભદ્ર વર્તન કે મારામારી નહીં કરી હોવાની કેફિયત રજૂ કરી હતી. કિન્નર દ્વારા અપાતી આ કેફિયતની ખરાઈની તપાસ જરૂરી છે. કેમ કે, સુરત ખાતે આજે કિન્નરોના આતંકને કારણે એક વ્યક્તિ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે ત્યારે જો ગહેરીલાલને કાંઇક થઇ જાય તો તેની પત્ની બે પુત્રી અને એક નવજાત શિશુનાં ભરણપોષણનું શું થશે? એવો સવાલ ગહેરીલાલનાં પરિવારજનો સામે મોં ફાડીનો ઉભો છે. આ સાથે સાથે લોકોની આસ્થાનો લાભ ઉઠાવીને દાપુનાં બહાને દાદાગીરી કરતા અને લોકોને લજ્જિત કરી લૂંટવાનો ધંધો કરતા કિન્નરોને સજા થાય તે આ ઘટના બાદ જરૂરી બની ગયું છે.