ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજપૂત સમાજ આવ્યો મેદાને, કરણીસેનાએ એકાત યાત્રાની કરી જાહેરાત
પાટીદાર, કોળી બાદ હવે રાજપૂત સમાજ પણ મેદાનમાં
ગુજરાત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાની જાહેરાત
કચ્છના માતાના મઢથી સોમનાથ સુધી નીકળશે યાત્રા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી પરંતુ ચૂંટણીને લઇને તૈયારીઓનો ધમધમાટ તો શરુ થઇ ગયો છે. જ્ઞાતિ અને જાતિના સમીકરણોને આધારે વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ સમાજો સક્રિય થઇ ગયા છે. આ વખતને ચૂંટણીમાં માત્ર પાટીદાર ફેક્ટર નહી, પરંતુ કોળી સમાજ અને હવે તો રાજપૂત સમાજ પણ પોતાનું પ્રતિનિધત્વ નોંધાવા મેદાને આવ્યો છે.
રાજપૂતોને સીટ આપવા ઉઠી માગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજપૂતોને સીટ આપવાની માગ સાથે કરણીસેનાએ એકતા યાત્રાની જાહેરાત કરી છે. કરણીસેના દ્વારા વિધાનસભામાં રાજપૂતોને સીટ આપવાની માગ કરાશે. આ મામલે તેઓ 1 એપ્રિલથી 15 એપ્રલ દરમિયાન એકતા યાત્રા કાઢશે. ગુજરાત કરણીસેનાના પ્રમુખે જાહેરાત કરતા જણાવ્યું કે 15 જેટલી બેઠકો પર ક્ષત્રિયોનું પ્રભૂત્વ હોવાથી અમે દરેક પક્ષ પાસે સીટ માગીશું.
'સામાજિક આગેવાને રાજકારણમાં ન જોડાવવું જોઇએ'
ગુજરાત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાની જાહેરાત કરતા જણાવ્યું કે અમે કચ્છના માતાના મઢથી સોમનાથ સુધી યાત્રા કાઢીશું. આ એકતા યાત્રામાં 300થી વધુ કારનો કાફલો જોડાશે. 1700 કિમી લાંબી એકતા યાત્રા થકી અનેક સંદેશ આપવામાં આવશે. તો નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે જે.પી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે સામાજિક આગેવાને રાજકારણમાં ન જોડાવવું જોઇએ.
ઠાકોર સમાજે કરી હતી અનામતની માગ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોળી સમાજને અનામત આપવા અંગે પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજને 20 ટકા અનામત આપવાની જરુર પડશે તો લડત પણ કરીશું. સાથે જ તેઓએ જો કે સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારમાં પણ અનામત જેવી સ્થિતિ છે.ST, SC, OBCના મિત્રોને મંત્રીમંડળમાં સારૂ સ્થાન નથી મળ્યું. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારી નથી. ગુજરાતમાં 1.20 કરોડની કોળી-ઠાકોર સમાજની વસતી છે. 27 ટકા ઓબીસી સમાજમાં 80 ટકા કોળી-ઠાકોર સમાજના લોકો છે તેમ છતાં બજેટમાં માત્ર 1 કરોડ અને 10 લાખ જ ફાળવવામાં આવ્યા.