તબીબો અને વહીવટી તંત્રની મિલિભગનું જીવંત ઉદાહરણ. જૂનાગઢની શ્રીજી બેબી કેર હોસ્પિટલમાં કોર્ટનો વિવાદ ચાલુ છે. તેમ છતાં સરકારી યોજના બાળ સખાની મંજૂરી આપી દેવાઈ છે. એટલુ જ નહીં પરંતુ આ યોજના હેઠળ રૂા. 1.53 કરોડ હોસ્પિટલને ચુકવી દેવામાં આવ્યા છે. સરકારી યોજનાને નામે કરોડો રૂપિયા આવી જ રીતે ચુકવી દેવામાં આવે છે. ત્યારે આમ આદમીને નામે ફળવાતા રૂપિયા ખરેખર સામાન્ય માણસ સુધી કેમ નથી પહોંચી રહ્યા તે એક પ્રશ્ન છે.
નવજાત બાળકોના આરોગ્ય માટે સરકાર ચુકવે છે રૂા. 2000
શ્રીજી બેબી કેર હોસ્પિટલ કોર્ટમાં વિવાદ હોવા છતા મંજૂરી આપી દેવામાં આવી છે. આ હોસ્પિટલ રેસિડેન્શિયલ વિસ્તારમાં પરમીશન લીધા વગર બનાવી દેવામાં આવી છે. ત્યારે આ હોસ્પિટલની મંજૂરીમાં જ વાંધા છે તો સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપ્યો તે ખરેખર વિચારવા લાયક વાત છે. મનપાએ ખુદ સરકારી લાભો બંધ કર્યા છે અને જિલ્લા લેવલની સરકારી યોજનાઓ કેમ મળી રહી છે.
બાળ શાખા યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી
બાળ શાખા યોજના હેઠળ 1.53 કરોડ હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા. મહાનગરપાલિકાના ધ્યાનમાં બાબતે આવતા MOU રદ્દ કર્યા છે પણ જિલ્લા દ્વારા યોજના ચાલુ છે. ડોકટરનું કહેવુ છે કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના દસ્તાવેજ મંગાવવામાં આવ્યા નથી.
શું છે શ્રીજી બેબકેર હોસ્પિટલનો વિવાદ
જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં પરમીશન લીધા વિના જ હોસ્પિટલ ખડકી દેવામાં આવી છે. જુનાગઢ નહેરૂપાર્ક સોસાયટી રહેણાંક વિસ્તારમાં સોસાયટી સહિત અન્ય પરમીશનો લીધા વગર રહેણાંક હેતુ પરના પ્લોટ પર કોમર્શીયલ હેતુથી શ્રીજી બેબી કેર નામથી હોસ્પિટલ ખડકી દેવાઈ હતી. આજ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ પંડયાએ 2017માં કાયદાકીય લડાઈ લડતા જૂનાગઢ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપી આ કામને અટકાવી દેવા તેમજ હોસ્પિટલનો કોમર્શીયલ ઉપયોગ ન કરવા સહિત મહાનગરપાલિકાના જવાબદારોને એક મહિનામાં આ અંગે કરેલ કાર્યવાહી આધાર પુરાવાઓ રજુ કરવા હુકમ કરી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ વિવાદ ઉપલી અદાલતમાં ચાલુ છે
શું છે બાળસખા યોજના
2009માં આ યોજના શરૂ થઈ હતી. યોજનાનો હેતુ બાળ મૃત્યુ દર ઘટાડવાનો છે. આ યોજના હેઠળ નવજાત શિશુઓને જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પીટલમાં નવજાત શિશુઓને લગતી કોઈ૫ણ બિમારી માટે નિ:શુલ્ક સેવાઓ આ૫વામાં આવે છે, તેમજ એક કેસ દીઠ ડોકટરને રૂા. 2000 ચૂકવવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળે
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (BPL કાર્ડ ધરાવતા) કુટુંબના 30 દિવસ સુધીનાં નવજાત શિશુઓને મળી શકે. આવક વેરો ન ભરતા હોય અનુસુસુચિત જન જાતિના તેમજ વાર્ષિક રૂ. 2 લાખથી ઓછી આવક ધરાવતાં તમામ "નીયોમીડલ કલાસ" કુટુંબનાં તમામ નવજાત શિશુઓને લાભ આ૫વામાં આવે છે.
યોજનાનો લાભ લેવા શું કરવુ
આ યોજનાનાં લાભ માટે લાભાર્થીએ બાળસખા યોજનામાં જોડાયેલાં ડોકટરને જરૂરી આધારો રજુ કરવાનાં રહેશે, જેથી ડોકટર દ્વારા તેમનું બાળસખા યોજનાનું ફોર્મ ભરી, ફોર્મ લગત તાલુકા હેલ્થ ઓફીસમાં રજુ કરતાં તાલુકા હેલ્થ ઓફીસમાંથી ડોકટરશ્રી ને પેમેન્ટ કરવામાં આવશે. નવજાત શિશુ બિમાર હોવું જોઇએ.