જમ્મૂ-કાશ્મીરના રાજોરીમાં શહીદ જવાન ઔરંગઝેબના પરિવાર માટે સોમવારનો દિવસ યાદગાર બની ગયો છે. ઓરંગઝેબના બંને ભાઇ તેમની શહાદતનો બદલો લેવા સેનામાં સામેલ થઇ ગયા છે.
સોમવારે ટેરિટોરિયલ આર્મીની એનરોલમેન્ટ પરેડમાં મોહમ્મદ તારિક અને મોહમ્મદ શબ્બીરના માતા-પિતા પણ ઉપસ્થિત હતા. આ યાદગાર તેમજ ગર્વના સમયે શહીદના પિતા મોહમ્મદ હનીફે જણાવ્યું હતું કે તેમણે પોતાના એક દિકરાની શહીદીનો બદલો લેવા બંને દિકરાને સેનામાં મોકલ્યાં છે.
સરહદ પર આવેલા પૂંછ જિલ્લાના સલોનીના નિવાસી સેનાના શહીદ જવાન ઓરંગઝેબના બંને ભાઇ માર્ચ મહિનામાં પૂંછના સુરનકોટમાં આયોજિત ભરતીમાં સામેલ થયા હતા. આમાં 11000થી વધારે ઉમેદવાર હતા જેમાં માત્ર 101ની પસંદગી કરવામાં આવી. જેમાં આ બંનેનો સમાવેશ થાય છે.
ઇદ મનાવવા પોતાના ગામ જઇ રહેલા ઓરંગઝેબની આતંકીઓએ હત્યા કરી દીધી હતી, જેના કારણે કાશ્મીરના યુવાનમાં ડર પેસી જાય અને સેનામાં સામેલ ન થાય. જો કે આતંકીઓના આ મનસુબા પર પાણી ફેરવતાં ઓરંગઝેબના બંને ભાઇઓ ભારતીય સેનામાં જોડાયાં છે.
સેનાના પંજાબ રેજીમેન્ટમાં સામેલ થયેલા શાબિર અને તારિકે કહ્યું કે અમે પણ અમારા ભાઇની જેમ રેજિમેન્ટનું નામ ઉપર કરીશું અને દેશ માટે પોતાનો જીવ આપતાં પણ અચકાશું નહીં.